નવી દિલ્હીઃ તબલીગી જમાતના કારણે દેશમાં કોરોના વાયરસના અનેક કેસ સામે આવ્યા છે. ક્વોરેન્ટાઈન કરવામાં આવેલા જમાતીઓ દ્વારા સ્વાસ્થ્યકર્મીઓ સાથે દુર્વ્યવહારના સમાચાર પણ સામે આવ્યા હતા. હવે દિલ્હીની લોકનારાયણ જયપ્રકાશ (LNJP) હોસ્પિટલમાં મહિલા ડૉક્ટર સાથે જમાતીએ ગેરવર્તન કર્યુ હોવાનો કિસ્સો સામે આવ્યો છે.


મળતી માહિતી પ્રમાણે 25 વર્ષીય જમાતી આ હોસ્પિટમાં એડમિટ હતો. વોર્ડ 5 એમાં હાજર મહિલા ડોક્ટર પર તેણે અભદ્ર ટિપ્પણી કરી હતી. પુરુષ સ્ટાફ બચાવમાં આવ્યો તો તેઓ તોફાન કરવા લાગ્યા અને અશોભનીય વર્તન કરવા લાગ્યા. જેના કારણે ડોક્ટરોએ ડયૂટી ઓફિસમાં છુપાઈ જવું પડ્યું. ત્યાં પહોંચીને જમાતીઓએ ભેગા થઈ દરવાજો તોડવાની કોશિશ કરી.

જમાતીઓની હરકતથી પરેશાન થઈ ડોક્ટર્સે મેડિકલ ડાયરેકટરને ફરિયાદ કરી. જે મુજબ દર્દીએ મહિલા રેસિડેન્ટ ડોક્ટરને ગાળો આપી અને અશ્લીલ ટિપ્પણી કરી હતી. જ્યારે સાથી ડોક્ટરે વિરોધ કર્યો તો વોર્ડના અન્ય દર્દીઓ ભેગા થઈને સ્ટાફને ધમકાવવા લાગ્યા. જે બાદ તમામ કર્મચારીઓ ભાગીને ડ્યૂટી રૂમમાં છુપાઈ ગયા હતા.



જે બાદ આજે મહિલા રેસિડેન્ટ ડોક્ટર અને સ્ટાફ સાથે ગેરવર્તન કરવા બદલ તેમની સામે FIR નોંધવામાં આવી છે. પોલીસનો બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1561 પર પહોંચી છે. જેમાંથી 30 લોકોના મોત થયા છે, જ્યારે 30 લોકો ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે.

દેશમાં જીવલેણ કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં દરરોજ વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે દેશમાં હાલ આ મહામારીથી સંક્રમિત લોકોની સંખ્યા 11 હજારને પાર કરી ગઈ છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં 11,439 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 377 લોકોના મોત થયા છે. ઉપરાંત 1306 લોકો સ્વસ્થ થઈ ચુક્યા છે.