નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. જાન્યુઆરીમાં એક લેબ અને થોડા જ ટેસ્ટથી શરૂ કરનારા ભારતે કોરોનાના એક કરોડ ટેસ્ટ પૂરા કર્યા છે અને ઝડપથી આગળ વધી રહ્યું છે.


આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતમાં કોવિડ-19 ટેસ્ટની સંખ્યા એક કરોડને પાર થઈ ગઈ છે. આજે સાજા થયેલા દર્દીની સંખ્યા 4,39,947 પર પહોંચી છે અને ભારતનો રિકવરી રેટ 61.13 ટકા છે. આઈસીએમઆરના કહેવા પ્રમાણે, છેલ્લા 14 દિવસથી રોજના સરેરાશ 2.15 લાખ ટેસ્ટ થઈ રહ્યા છે. જેના કારણે કેસની સંખ્યા પણ વધી છે. આઈસીએમઆરનં આગામી લક્ષ્ય દરરોજના ત્રણ લાખ કોરોના ટેસ્ટ કરવાનું છે.


જાન્યુઆરીથી સતત ટેસ્ટિંગ ક્ષમતા વધારવાના કારણે આ ઉપલબ્ધિ મેળવી છે. હાલ દેશમાં કોરોનાની તપાસ માટે માન્યતા પ્રાપ્ત લેબની સંખ્યા 1115 છે. જેમાં 800 જેટલી સરકારી અને બાકીની ખાનગી લેબ છે.

ચાલુ વર્ષની શરૂઆતમાં કિટની આયાત પર આશ્રિત રહેનારું ભારત આજે ટેસ્ટિંગ મામલે પૂરી રીતે આત્મનિર્ભર છે. ન માત્ર ટેસ્ટિંગ કિટનું દેશમાં ઉત્પાદન થઈ રહ્યું છે, પરંતુ અનેક સ્વદેશી ટેસ્ટિંગ કિટ બનાવનારા ઉત્પાદકો પણ મેદાન છે. મોટી માત્રમાં ટેસ્ટિંગ કિટ ઉપલબ્ધ હોવાના કારણે આઈસીએમઆર હવે રાજ્યોને સતત ટેસ્ટિંગ વધારવા કહી રહ્યું છે.