નવી દિલ્હીઃ દેશમાં હાલ અનલોક-2 ચાલી રહ્યું છે. અનલોક-1ની શરૂઆત બાદ દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધારે કેસ નોંધાવા સહિત 600થી વધારે લોકોના મોત થયા હતા.


સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 613 લોકોના મોત થયા છે અને 24,850 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીનો એક દિવસમાં નોંધાયેલા સૌથી વધારે કેસ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,73,165 પર પહોંચી છે અને 19,268 લોકોના મોત થયા છે. 4,09,083 લોકો સાજા થઈ ગયા છે અને 2,44,814 એક્ટિવ કેસ છે.


કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં સૌથી વધારે મોત થયા છે. મહારાષ્ટ્રમાં 8671, દિલ્હીમાં 3004, ગુજરાતમાં 1925, તમિલનાડુમાં 1450, મધ્યપ્રદેશમાં 598, આંધ્રપ્રદેશમાં 218, અરૂણાચલ પ્રદેશ 1, આસામમાં 14, બિહારમાં 89, ચંદીગઢમાં 6, છત્તીસગઢમાં 14, હરિયાણામાં 260, હિમાચલ પ્રદેશમાં 11, જમ્મુ-કાશ્મીરમાં 127, ઝારખંડમાં 17, કર્ણાટકમાં 335, કેરળમાં 25, મેઘાલયમાં 1, ઓડિશામાં 34, પુડ્ડુચેરીમાં 12, પંજાબમાં 162, રાજસ્થાનમાં 447, તેલંગાણામાં 288, ઉત્તરાખંડમાં 42, ઉત્તરપ્રદેશમાં 773 અને પશ્ચિમ બંગાળમાં 736 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,00,064 પર પહોંચી છે. બીજા નંબર પર રહેલા તમિલનાડુમાં 1,07,001 પર સંક્રમિતોની સંખ્યા પહોંચી છે. દિલ્હીમાં 97,200, ગુજરાતમાં 35,312, તેલંગાણામાં 22,312, કર્ણાટકમાં 21,549, રાજસ્થાનમાં 19,532 સંક્રમિતો નોંધાયા છે.