લખનઉઃ ઉત્તર પ્રદેશમાં કોરોના વાયરસના મામલા ઝડપથી વધી રહ્યા છે. રાજ્યની રાજધાની લખનઉમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થિતિ ભયાનક બની રહી છે. સરકારના દિશા-નિર્દેશો છતાં લોકો નિયમોની અવગણના કરી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માસ્ક ન પહેરનારા પર કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે માસ્ક ન પહેરનારા પર દંડની રકમ 500 રૂપિયા કરી દીધી છે. આ અંગે નોટિફિકેશન જલદી બહાર પાડવામાં આવશે.


સીએમ યોગીએ મંગળવારે બિનજરૂરી આવ-જા રોકવા તથા માસ્કનો ફરજિયાત ઉપયોગ કરવા અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. તેમણે કહ્યું કે, જો જાહેર સ્થળો પર કોઈ માસ્ક લગાવ્યા વગર મળશે તો દંડ વસૂલવામાં આવશે.

રાજ્યના અગ્ર મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય) અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે, હવે પ્રથમ વખત જ નિયમોનું ઉલ્લંઘન પર 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે. દર વખતે 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.

પ્રસાદના કહેવા મુજબ, લોકો દ્વારા નિયમોનું ગંભીરતાથી પાલન ન કરવાના કારણે આમ કરવામાં આવી રહ્યું છે. આ પહેલા માસ્ક ન પહેરવા પર 100 રૂપિયા દંડ લેવામાં આવતો હતો. બે થી ત્રણ દિવસની અંદર આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.