નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે આ મહામારી ક્યારે ખતમ થશે તેવો દરેકને પ્રશ્ન થઈ રહ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે કોરોના વાયરસનો કપરો કાળ હજુ આવ્યો નથી અને તે આવવાનો બાકી છે. WHOના એક્સપર્ટે કહ્યું કે, કોરોના વાયરસનો ખરાબ સમય આવવાનો હજુ બાકી છે અને કેસોનો પણ વિસ્ફોટ થશે.


વુના એક્સપર્ટ માઇકલ રેયાને જણાવ્યું, કોરોના વાયરસને હરાવવા આપણે સાથે મળીને કામ કરવું પડશે. ભલે કેટલાક દેશોમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી હયો પરંતુ વિશ્વ સ્તરે તેની અસર વધી ગઈ છે. જેમ-જેમ ઘણા દેશો પોતાની અર્થવ્યવસ્થાને ખોલી રહ્યા છે તેમ ત્યાં ફરીથી વાયરસની અસર જોવા મળી રહી છે.

તેમણે કહ્યું, મહામારીની અસર ભારતના વિવિધ ભાગોમાં અલગ અલગ છે અને શહેરી તથા ગ્રામીણ સેટિંગ વચ્ચે બદલાય છે. દક્ષિણ એશિયામાં ફક્ત ભારતમાં જ નહીં, બાંગ્લાદેશ, પાકિસ્તાન સહિત સાઉથ એશિયાના અન્ય દેશોમાં ગીચ વસ્તી ધરાવતાં દેશોમાં રોગ હજુ વકર્યો નથી પરંતુ હંમેશા એવું થવાનું જોખમ રહેલું છે.

આ ઉપરાંત જણાવ્યું કે, ભારતમાં લેવામાં આવેલા પગલાની અસર ચોક્સપણે પડી છે. પણ જેમ અન્ય દેશોની જેમ ભારત પણ ખૂલી રહ્યું છે અને લોકો ફરી રહ્યા છે ત્યારે આ બીમારી ફરી ઉથલો મારવાનું જોખમ રહે છે.  ભારતમાં સ્થળાંતરની મોટી માત્રા, શહેરી વાતાવરણમાં ગીચ વસ્તી અને ઘણા કામદારો પાસે દરરોજ કામ પર જવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી તેવા ઘણા મુદ્દાઓ છે.

વુના અધિકારીના જણાવ્યા મુજબ, પહેલા વિશ્વમાં દરરોજ કોરોના વાયરસના 80 હજારથી એક લાખ આસપાસ કેસ આવતા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી રોજના દોઢ લાખથી વધારે મામલા સામે આવી રહ્યા છે. વિશ્વમાં હાલ અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ આવી રહ્યા છે. અમેરિકા અને બ્રાઝીલમાં દૈનિક સરેરાશ 30 હજારથી વધારે કેસ આવી રહ્યા છે, જ્યારે ભારતમાં 20 હજાર નજીક કેસ નોંધાઈ રહ્યા છે. જે ચિંતાજનક  છે.