નવી દિલ્હી: કોરોના વાયરસથી ભારતમાં મોતનો બીજો મામલો સામે આવ્યો છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત 69 વર્ષની મહિલાનું મોત થયું છે. આ જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલય અને દિલ્હી સરકારના અધિકારીઓએ આપી હતી. આ પહેલા કર્ણાટકના કલ બુર્ગીમાં કોરોનાથી 76 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.


પ્રાપ્ત જાણકારી અનુસાર તેમનો દિકરો 23 ફેબ્રુઆરીએ સ્વિટઝરલેન્ડ અને ઈટાલીના વિદેશ પ્રવાસથી પરત ફર્યો હતો અને જ્યારે તે આવ્યો ત્યારે તેને કોરોના વાયરસની અસર નહોતી. જો કે બાદમાં તેનામાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. હાલમાં તેની સારવાર ચાલી રહી છે. તેની માતાને પણ તેનાથી ઇન્ફેક્શન થઈ ગયું હતું.

ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધીને 81 થઈ ગઈ છે. દિલ્હીમાં કોરોના વાયરસના 6 મામલા સામે આવ્યા છે. જ્યારે કેરળમાં 22, હરિયાણામાં 17, રાજસ્થાનમાં 3, ઉત્તર પ્રદેશમાં 11, કર્ણાટકમાં 7 અને મહારાષ્ટ્રમાં 17 કેશની પુષ્ટી થઈ છે.

કોરોના વાયરસના હાહાકારના કારણે સમગ્ર વિશ્વ સહિત ભારત પણ પરેશાન છે. દેશમાં મોટાભાગના રાજ્યોમાં સ્કૂલ, કોલેજ અને થિયેટરો બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ તમામ પ્રકારના સરકારી કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.