મુંબઈ: મહારાષ્ટ્રથી રાજ્યસભા ચૂંટણી માટે શિવસેનાએ પ્રિયંકા ચતુર્વેદીને ઉમેદવાર બનાવ્યા છે. આજે પ્રિયંકા ચતુર્વેદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. પ્રિયંકાને ટિકિટ આપતા શિવસેનામાં વિરોધના સૂર ઉઠ્યા હતા. નોંધનીય છે કે, પ્રિયંકા અગાઉ કૉંગ્રેસની રાષ્ટ્રીય પ્રવક્તા હતી પરંતુ ગત વર્ષે શિવસેનામાં સામેલ થઈ હતી.


પ્રિયંકાને ટિકિટ આપવાને લઈ શિવસેનાના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ ચંદ્રકાંત ખેરે નારાજગી વ્યક્ત કરી હતી અને ગુસ્સામાં આવીને પોતોના ફોન પણ બંધ કરી દીધો હતો. ચંદ્રકાંત ખેર ખૂદ આ સીટ પર નજર રાખીને બેઠા હતા. ઔરંગાબાદથી 4 વખત લોકસભા સાંસદ રહી ચૂકેલા ખેરને આશા હતી કે પાર્ટી તેમને રાજ્યસભા મોકલશે પરંતુ પ્રિયંકાને ઉમેદવારીએ તેમની આશા પર પાણી ફેરવી દીધું છે. માનવામાં આવી રહ્યું છે કે, ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેના કહેવા પર પ્રિયંકાને ટિકિટ આપવામાં આવી છે.

આ પહેલા એબીપી ન્યૂઝ સાથે વાતચીત દરમિયાન ચંદ્રકાંત ખેરે આદિત્ય ઠાકરે પર નિશાન સાધતા કહ્યું હતું કે, “મારા શહેરને સાંસદની જરૂર હતી પરંતુ આદિત્ય સાહેબને પસંદ નથી આવ્યું. મે બાલાસાહેબ અને ઉદ્ધવ સાહેબ સાથે અનેક વર્ષો સુધી કામ કર્યું. હવે તેમને લાગી રહ્યું છે કે નવા લોકોને તક આપવી જોઈએ. હવે આ મહિલા સારુ કામ કરશે. હિંદી, અંગ્રેજી પણ બોલે છે. હું સ્મશાન સુધી પણ શિવસૈનક રહીશ. બાકી અન્ય લોકો આવતા જતા રહેશે. જૂના લોકોની જરૂર હોય છે. ”