નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરુદ્ધ જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સબકા સાથ, સબકા વિશ્વાસ’ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એટલા માટે તેમણે સર્વદળીય બેઠક અગાઉ તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે બે પૂર્વ રાષ્ટ્રપતિઓ અને બે પૂર્વ વડાપ્રધાન સિવાય વિપક્ષના અનેક મોટા નેતાઓ સાથે કોરોના સંકટને લઇને ચર્ચા કરી હતી.






વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસ વિરુદ્ધ ચાલી રહેલી જંગ વચ્ચે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, પ્રતિભા પાટિલ અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, એચડી દેવગૌડા સાથે ફોન પર વાત કરી હતી. તે સિવાય તેમણે કોગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે વાત કરી હતી. તે સિવાય વડાપ્રધાને સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ, અખિલેશ યાદવ, ટીએમસીના વડા મમતા બેનર્જી, નવીન પટનાયક, અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ સિવાય દક્ષિણ ભારતના મોટા નેતાઓ ચંદ્રશેખર રાવ અને એમકે સ્ટાલિન સાથે ચર્ચા કરી હતી.



કોરોના વિરુદ્ધ રણનીતિ બનાવવા માટે વડાપ્રધાન મોદીએ આઠ એપ્રિલના રોજ સર્વદળીય બેઠક બોલાવી છે. વડાપ્રધાન મોદી સંસદમાં વિવિધ પાર્ટીઓના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યુ કે, વડાપ્રધાન મોદી આઠ એપ્રિલના રોજ સવારે 11 વાગ્યે સંસદમાં એ તમામ વિવિધ પાર્ટીઓના નેતાઓ સાથે વાતચીત કરશે જેમના લોકસભા અને રાજ્યસભામાં પાંચ કે તેથી વધારે સભ્યો છે.