નવી દિલ્હીઃ ભાજપના સ્થાપના દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ દ્વારા કાર્યકર્તાઓને સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે બીજેપીના તમામ સંસ્થાપકોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ પણ આપી હી. ઉપરાંત તેણે કાર્યકર્તાઓને કોરોના સંકટને લઈ વાત પણ કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, અમે દરેક સ્તર પર કોરોના સામે પ્રયાસ કર્યા, જેને લઈ વિશ્વ આરોગ્ય સંગઠને પણ ભારતની પ્રશંસા કરી છે. પીએમ મોદીએ લોકોને કોરોના સામે લડવા પાંચ આગ્રહ કર્યા હતા.


પ્રથમ આગ્રહઃ તમારી આસપાસ કોઈ ભૂખ્યો ન સૂવે તે સુનિશ્ચિત કરો, જ્યારે પણ મદદમાટે જાવ ત્યારે માસ્ક પહેરીને જાવ.  આ માસ્ક ક્લિનિકલ હોય તે જરૂરી નતી, કોઈપણ કપડાનું માસ્ક પહેરો.

બીજો આગ્રહઃ તમારા પરિવારજનો કે 5 અન્ય લોકોને માસ્ક બનાવીને ગિફ્ટ કરો.

ત્રીજો આગ્રહઃ કોરોના સામેની લડાઈમાં જોડાયેલા લોકો (પોલીસ, સ્વાસ્થ્યકર્મી, બેંકકર્મી)નો આભાર વ્યક્ત કરો.

ચોથો આગ્રહઃ ઓછામાં ઓછા 40 લોકોના મોબાઈલમાં આરોગ્ય સેતુ એપને ઈન્સ્ટોલ કરાવો.

પાંચમો આગ્રહઃ તમામ બીજેપી કાર્યકર્તાઓને પીએમ-કેયર્સમાં સહયોગ કરવા અને અન્ય 40 લોકોને પણ સહયોગ કરવા પ્રેરિત કરવાના છે.

પ્રધાનમંત્રી મોદીએ એમ પણ કહ્યું કે, આજે સમગ્ર દુનિયાનો એક જ મંત્ર છે- સોશિયલ ડિસ્ટેંસિંગ અને અનુશાસનનું પાલન કરવું. મને આશા છે કે ભાજપનો દરેક કાર્યકર્તા ખુદની રક્ષા કરીને તેમના પરિવારને અને દેશને પણ સુરક્ષિત કરશે. આપણે આ સિદ્ધાંત પર ચાલવાનું છે.