નવી દિલ્હી: પંજાબમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા ચાર દિવસમાં બમણી કરતા પણ વધી ગઈ છે. મહારાષ્ટ્રના નાંદેડ સાહિબથી પરત આવેલા 351 શ્રદ્ધાળુઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. હોશિયારપુરમાં 32 અને લુઘિયાણામાં 18 શ્રદ્ધાળુઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ નવા કેસ સામે આવ્યા બાદ પંજાબમાં કોવિડ-19 કેસનો આંકડો વધીને 741 થઈ ગયો છે. તેમાંથી 351 શ્રદ્ધાળુઓ છે અને 6 મજૂરો છે.


પંજાબના સૌથી વધુ જિલ્લા (15) ઓરેન્જ ઝોનમાં છે. ત્રણ જિલ્લા રેડ અને ચાર જિલ્લા ગ્રીન ઝોનમાં છે. રેડ ઝોનમાં જાલંધર, પઠિયાલા અને લુધિયાણા છે. જ્યારે ઓરેન્જમાં સાસ નગર, પઠાનકોટ, માનસા, તરન તારન, અમૃતસર, કપૂરથલા, હોશિયારપુર, ફરીદકોટ, સંગરુર, શહીદ ભગતસિંહ નગર, ફિરોજપુર, મુક્તસર સાહિબ, મોગા, ગુરદાસપુર અને બરનાલા છે. ગ્રીન ઝોનમાં રુપનગર, ફતેહગઢ સાહિબ, બઠિંડા અને ફાજિલ્કા છે.

ઉલ્લેખનીય છે કે, 29 માર્ચે પંજાબમાં કર્ફ્યૂને બે અઠવાડિયા માટે લંબાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પહેલા 30 એપ્રિલ સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું હતું.
દેશમાં વાયરસથી સંક્રમિત દર્દીની સંખ્યા 37 હજારને પાર કરી ગઈ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 71 લોકોના મોત થયા છે અને 2293 નવા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી સંક્રમિતોની સંખ્યા 37,336 પર પહોંચી છે. જેમાંથી 1218 લોકોના મોત થયા છે. જ્યારે 9950 લોકો સાજા થઈ ગયા છે. હાલ 26,167 કેસો સક્રિય છે.