નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા પ્રતિદિન વધી રહી છે. શનિવાર સુધી દેશમાં કુલ 6,48,315 પોઝિટિવ સામે આવ્યા છે, જ્યારે 18,655 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 442 લોકોના મોત થયા છે અને અત્યાર સુધીના સૌથી વધુ 22,771 મામલા નોંધાયા છે. જો કે રાહતના સમાચાર એ પણ છે કે, સંક્રમણથી સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. અત્યાર સુધી 3,94,227 લોકો સાજા થઈ ગયા છે


દેશમાં હાલમાં 2,35,433 એક્ટિવ કેસ છે. જેની સારવાર ચાલી રહી છે. એક્ટિવ કેસ અને સ્વસ્થ થયેલા દર્દીઓ વચ્ચે 1,58,793 નું અંતર છે જે સતત વધી રહ્યું છે. દેશમાં હાલમાં રિકવરી રેટ 60.80 ટકા છે.

સૌથી વધુ કોરોના સંક્રમણના કેસ મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, મહારાષ્ટ્રમાં કુલ 1,92,990 સંક્રમિત કેસ સામે આવ્યા છે. જેમાંથી 8,376 દર્દીઓની મોત થઈ ચૂકી છે, જ્યારે 1,04,687 સ્વસ્થ થઈ ગયા છે. તમિલનાડુમાં શુક્રવારે કોરોના વાયરસના કેસની સંખ્યા 1,02,721 થઈ ગઈ છે. જેમાંથી 1385 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 58,378 લોકો આ સંક્રમણમાંથી સાજા થયા છે.

દેશમાં સતત ટેસ્ટિંગ અને ટેસ્ટિંગ લેબની સંખ્યા વધારવામાં આવી રહી છે. અત્યાર સુધી 1087 લેબ છે, જેમાં કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યું છે, જેમાંથી 780 સરકારી લેબ છે જ્યારે 307 ખાનગી લેબ છે. આ લેબમાં અત્યાર સુધી 95,40,132 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 2,42,383 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.