24 કલાકમાં કોરોના પર પોર્ટલ અને એક્સપર્ટ કમિટી બનાવે કેંદ્ર : સુપ્રીમ કોર્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Mar 2020 03:28 PM (IST)
સુપ્રીમ કોર્ટે કેંદ્રને 24 કલાકની અંદર કોરોના વાયરસ પર સૂચના માટે એક પોર્ટલ અને એક્સપર્ટની એક કમિટીની રચના કરવાનું કહ્યું છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેંદ્રને 24 કલાકની અંદર કોરોના વાયરસ પર સૂચના માટે એક પોર્ટલ અને એક્સપર્ટની એક કમિટીની રચના કરવાનું કહ્યું છે. દેશમાં કોરોના વાયરસથી લડવા માટે લાગુ લોકડાઉન વચ્ચે મોટા શહેરોમાંથી મજૂરોના પલાયન મામલે સુપ્રીમ કોર્ટે 31 માર્ચ સુનાવણી આગળ વધારી હતી. કેંદ્ર તરફથી કોર્ટમાં રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, 22 લાખ 88 હજારથી વધારે લોકોને જમવાનું આપવામાં આવી રહ્યું છે. આ જરૂરિયાતમંદ, પ્રવાસી અને મજૂરીકામ કરતા લોકો છે. ભારતના મુખ્ય ન્યાયધીશ એસએ બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની બેન્ચે શ્રમિતોના પલાયન મુદ્દા પર 30 માર્ચના એડવોકેટ અલખ આલોક શ્રીવાસ્તવ અને રશ્મિ બંસલ તરફથી દાખલ કરવામાં આવેલી અરજી પર વીડિયો કૉન્ફ્રેંસિંગના માધ્યમથી સુનાવણી કરી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, શ્રીવાસ્તવે પોતાની અરજીમાં પ્રવાસી શ્રમિકો અને તેમના પરિવાર માટે જમવાની અને રહેવાની માંગ કરી છે, જેઓ પગપાળા પોતાના ઘર જઈ રહ્યા છે. કોર્ટે કેંદ્રને આ મુદ્દા પર ઉઠાવવામાં આવેલા પગલાને લઈને 31 માર્ચ સુધીમાં સ્ટેટસ રિપોર્ટ સોંપવાનું કહ્યું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ડરના કારણે મોટી સંખ્યામાં મજૂરોનું પલાયન કોરોના વાયરસ કરતા પણ મોટી સમસ્યા બની રહી છે.