કોરોના વાયરસઃ દેશભરમાં 31 માર્ચ સુધી સ્કૂલ-કોલેજો, મોલ્સ બંધ રાખવાના નિર્દેશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Mar 2020 09:56 PM (IST)
સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ વિરુદ્ધ મદદ માટે નવો હેલ્પલાઇન નંબર 1075 જાહેર કર્યો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસને ફેલાવતો અટકાવવા કેન્દ્ર સરકાર સતત પ્રયાસો કરી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે સોમાવારે આ જીવલેણ વાયરસ પર લગામ કસવા જરૂરી દિશાનિર્દેશ જાહેર કર્યા છે. સ્વાસ્થ્યમંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યુ કે, દેશની તમામ સ્કૂલ, સ્વિમિંગ પુલ, મોલ્સ 31 માર્ચ સુધી બંધ કરવામાં આવશે. કર્મચારીઓને ઘરથી કામ કરવાની છૂટ આપવામાં આવે. સાથે સાર્વજનિક પરિવહનનો ઉપયોગ ઓછો થશે. સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાયરસ વિરુદ્ધ મદદ માટે નવો હેલ્પલાઇન નંબર 1075 જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે ધાર્મિક નેતાઓને અપીલ કરી છે કે તે એ પ્રકારના આયોજના ના કરે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય. સાથે જ તમામ રાજ્યોને દેશભરમાં તમામ શિક્ષણ સંસ્થાઓ અને જિમને બંધ કરવાના નિર્દેશ આપ્યા છે. અગ્રવાલે કહ્યું કે, ઇરાનથી વધુ 53 ભારતીયોને ભારત પરત લાવવામાં આવ્યા છે. દેશમાં ચાર નવા કેસ આવ્યા છે જેમાં ઓડિશા જમ્મુ અને કાશ્મીર, લદાખ અને કેરલમાં એક-એક કેસ છે. હાલમાં દેશમાં કોરોનાના 114 કેસ પોઝિટીવ છે. અત્યાર સુધી 13 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થઇ ચૂક્યા છે. જ્યારે બેના મોત થયા છે.સરકારે યુરોપિયન યુનિયન, તુર્કી અને બ્રિટનથી આવનારા મુસાફરો પર 18 માર્ચથી આગામી આદેશ સુધી પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્ર સરકારે ભારત અને પાકિસ્તાન બોર્ડર બંધ કરી દીધી છે.