નવી દિલ્હી: લોકડાઉન બાદ પણ દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. તેની વચ્ચે ભારતે પોતાની ટેસ્ટિંગ ક્ષમતા 3 લાખ પ્રતિ દિવસ કરી દીધી છે. હવે ભારતમાં કુલ 907 લેબ છે, જ્યાં કોરોના ટેસ્ટિંગની સુવિધા છે. આ લેબમાં હવે દિવસમાં ત્રણ લાખ સેમ્પલ અને ટેસ્ટિંગની સુવિધા છે.


દેશમાં અત્યાર સુધી 59,21,069 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 1,54,935 સેમ્પલ કરવામાં આવ્યા છે. 907 સરકારી અને ખાનગી લેબમાં કોરોના માટે RT PCR, TrueNat અને CBNAAT ટેસ્ટ થઈ રહ્યાં છે.

આરટી પીસીઆર આધારિત ટેસ્ટિંગ 534 લેબમાં થઈ રહી છે. જેમાંથી 347 સરકારી લેબ અને 187 પ્રાઈવેટ લેબ છે. જ્યારે TrueNat ટેસ્ટિંગ 302 લેબમાં થઈ રહી છે, જેમાં 287 સરકારી લેબ અને 15 ખાનગી લેબ છે. CBNAAT નું ટેસ્ટિંગની સુવિધા દેશના 71માં લેબમાં છે. જેમાં સરકારી લેબ 25 છે જ્યારે 46 ખાનગી લેબ છે.

દિલ્લીમાં ટેસ્ટિંગ સુવિધા વધુ સારી બનાવવા માટે તમામ 11 જિલ્લાના સેમ્પલ તે જિલ્લાની લેબમાં જ મોકલવામાં આવશે. દિલ્હીમાં અત્યારે 42 લેબ છે, જ્યાં 17 હજાર સેમ્પલ લઈ શકાય છે અને ટેસ્ટ કરી શકાય છે.

આરોગ્ય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ખાનગી રીતે પ્રાઈવેટ હેલ્થ કેર પ્રોવાઈડર સાથે જોડાવા કહ્યું છે, જેથી બેડ અને ક્રિટિકલ કેર હેલ્થ ફેસિલિટીને વધારી શકાય. સાથે આરોગ્ય સુવિધા માટે નિષ્પક્ષ અને પારદર્શી શુલ્ક સુનિશ્ચિત કરી શકાય.

ભારતમાં મંગળવાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,43,091 થઈ ગઈ છે. જેમાં 1, 53, 178 એક્ટિવ દર્દી છે, જેની સારવાર ચાલી રહી છે. જ્યારે 9900 દર્દીઓના મોત થઈ ચુક્યા છે અને 1,80,012 દર્દીઓ સંક્રમણથી સાજા થયા છે. દેશમાં રિકવરી રેટ 52.46 ટકા છે.