નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના વાયરસની મહામારીની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી, જેમાં મોદીએ કહ્યું હતું કે, ભારતમાં મોટી આબાદી છતાં પણ કોરોના વિનાશકારી સાબિત થયો નથી અને દેશમાં રિકવરી રેટ 50 ટકાથી ઉપર છે. આ સમયે આપણે જરા પણ અસાવધાન થવાની જરૂર નથી અને માસ્ક વગર બહાર જવાની કલ્પના પણ ન કરવી જોઈએ.


પીએમ મોદીએ કહ્યું કે, ભવિષ્યમાં જ્યારે પણ ભારતની કોરોના વિરુદ્ધની લડાઈનું અધ્યયન થશે, ત્યારે આ સમયગાળાને એટલા માટે પણ યાદ કરવામાં આવશે કે, કઈ રીતે આ સમયે આપણે સાથે મળીને કામ કર્યું અને કૉ-ઑપરેટિવ ફેડરેલિઝ્મનું સર્વોત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું.

દુનિયાના મોટા-મોટા એક્સપર્ટ્સ, હેલ્થના જાણકાર, લૉકડાઉન અને ભારતના લોકો દ્વારા બતાવવામાં આવેલા અનુશાસનની આજે ચર્ચા રહ્યાં છે, આજે ભારતમાં રિકવરી રેટ 50 ટકાથી પણ વધુ છે અને આજે ભારત દુનિયાના તે દેશોમાં અગ્રીમ છે જ્યાં કોરોના સંક્રમિત દર્દીનો જીવ બચી રહ્યો છે.

આપણે હંમેશા આ વાતનું ધ્યાન રાખવાનું છે કે, આપણે કોરોનાને જેટલું રોકી શકીશું, તેટલી જ આપણી અર્થવ્યવસ્થા ખુલશે, આપણા ઓફિસો ખુલશે, માર્કેટ ખુલશે, ટ્રાન્સપોર્ટના સાધનો ખુલશે અને તેટલીજ રોજગારીની નવી તક પણ બનશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ખેડૂતોના ઉત્પાદનની માર્કેટિંગ ક્ષેત્રમાં હાલમાં જે રિફોર્મ્સ કરવામાં આવ્યું છે, તેનાથી ખેડૂતોને મોટો લાભ થશે. ખેડૂતોને પોતાનું ઉત્પાદન વેચવા માટે નવા વિકલ્પ ઉપલબ્ધ રહેશે. તેમની આવક વધશે અને સ્ટોરેજના અભાવના કારણે તેમનું જે નુકસાન થતું હતું, તેને પણ આપણે ઓછું કરી શકીશું.

પીએમ મોદીએ કહ્યું કે, લોકલ પ્રોડક્ટ માટે જે રીતે ક્લસ્ટર બેસ્ડ રણનીતિની ઘોષણા કરવામાં આવી છે, તેનો લાભ પણ તમામ રાજ્યોને થશે. તેના માટે એ જરૂરી છે કે છે, આપણે તમામ બ્લોક, તમામ જિલ્લામાં એવા પ્રોડક્સનની ઓળખ કરી, જેમની પ્રોસેસિંગ કે માર્કેટિંગ કરવા, એક ઉત્તમ પ્રોડક્ટ આપણે દેશ અને દુનિયાના બજારમાં ઉતારી શકીએ છીએ.