નવી દિલ્હી: સમગ્ર દેશમાં કોરોના વાયરસના વધી રહેલા કેસના કારણે સરકાર ચિંતિત છે. કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે ભારતીય સેનાએ ઓપરેશન નમસ્તેની શરૂઆત કરવા જઈ રહી છે. આર્મી ચીફ એમએમ નરવણેએ તેની જાહેરાત કરી હતી. દેશમાં કોરોના વાયરસ સામે લડવા માટે સેનાએ કુલ આઠ ક્વોરન્ટાઈન કેંદ્રો સ્થાપિત કર્યા છે.




ઓપરેશન નમસ્તેની જાહેરાત કરતા આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું આ મહામારી સામે લડાઈમાં સરકારી મદદ કરવી તેમનું કર્તવ્ય છે. સેનાએ આ પહેલા પણ તમામ અભિયાનોમાં સેનાએ સફળતાપૂર્વક કામ કર્યું છે અને ઓપરેશન નમસ્તેને પણ સફળતાપૂર્વક પાર પાડવામાં આવશે.

સેના પ્રમુખે કહ્યું કે કોરોના વાયરસ સામેની આ લડાઈમાં સરકાર અને નાગરિકોની મદદ કરવી અમારી જવાબદારી છે. એક સેના પ્રમુખ તરીકે મારી પ્રાથમિકતા છે કે હુ મારા જવાનોને સુરક્ષિત અને ફિટ રાખુ.

આ સિવાય સેના તરફથી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. સેનાએ સધર્ન કમાન્ડ, ઇસ્ટર્ન કમાન્ડ, વેસ્ટર્ન કમાન્ડ, સેન્ટ્રલ કમાન્ડ, સાઉથ કમાન્ડ તેમજ દિલ્હી મુખ્યાલયમાં કોરોના હેલ્પ લાઇન સેન્ટર બનાવ્યું છે.