Corona Cases In India: કોરોના લોકોના જીવ ફરી એકવાર અદ્ધર કરી દીધા છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી જે પ્રકારે કોરોનાના વિસ્ફોટ થઈ રહ્યો છે તેનાથી દેશવાસીઓમાં ફફડાટ પેઠો છે. સરકારે પણ આવનાર સમય મુશ્કેલીભર્યો હોવાનું જણાવ્યું છે. જોકે ડરી નહીં ને સાવચેતી રાખવાની સરકારે સલાહ આપી છે.



કોરોનાના કેસને લઈને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ઓમિક્રોનના વેરિઅન્ટ XBB 1.16 પર સંશોધન કર્યું છે. ICMRએ કહ્યું છે કે, આ વેરિએન્ટ ઝડપથી ફેલાશે. જો કે તેનાથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાન રહેવાની જરૂર છે. સૌથી મોટી વાત એ છે કે, સરકારે ઝડપથી ફેલાતા કોરોના કેસને નવી લહેર તરીકે સ્વીકારી લીધી છે. પરંતુ હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઘણી ઓછી છે.

ICMRના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે દેશમાં કોરોના સ્થાનિક તબક્કા તરફ આગળ વધી રહ્યો છે. આગામી 10-12 દિવસ સુધી કોરોના કેસ વધી શકે છે. જો કે, ત્યાર બાદ નવા કેસોમાં ઝડપથી ઘટાડો થશે. ICMRનું માનવું છે કે, કેસોમાં વર્તમાન ઉછાળો ઓમિક્રોનના વેરિઅન્ટ XBB.1.16ને કારણે છે.

નવા વેરિઅન્ટને કરાયોઆઇસોલેટેડ

ICMR એ પણ કહ્યું હતું કે, નવા વેરિઅન્ટને અલગ કરવામાં આવ્યું છે. સારી વાત એ છે કે, હાલની રસીઓ કોરોનાના વર્તમાન વેરિએન્ટ પર અસરકારક છે, જે આપણી પાસે પુરતા પ્રમાણમાં રહેલી છે. કોરોનાના વધતા કેસો વચ્ચે હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઈ-ફાર્મસી કંપનીઓ સાથે બેઠક કરશે. ઈ-ફાર્મસી અંગે સરકાર કડક છે. ઈ-ફાર્મસી અંગે સરકાર પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કરી ચૂકી છે. સરકાર ઈ-પ્રિસ્ક્રિપ્શનની તરફેણમાં છે, પરંતુ સરકાર આ અંગે નિયમો પણ બનાવી રહી છે.

હાલમાં સરકાર રસીના ડોઝ ખરીદશે નહીં

દરમિયાન સૂત્રોને ટાંકીને માહિતી આપી છે કે, કોરોનાના વધતા કેસો છતાં સરકાર કોરોના રસીનો ડોઝ ખરીદશે નહીં. સરકારે રાજ્ય સરકારોને રસી જાતે ખરીદવા કહ્યું છે. એટલું જ નહીં, સરકાર લોકો માટે રસીના ત્રીજા ડોઝ કે ચોથા ડોઝની પણ ભલામણ કરશે નહીં.

દેશમાં 223 દિવસ બાદ કોરોનાના 7830 નવા કેસ નોંધાયા

જાહેર છે કે, 223 દિવસ બાદ દેશમાં કોરોનાના 7830 નવા કેસ નોંધાયા છે. અગાઉ, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશમાં 7946 કેસ નોંધાયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 4 કરોડ 47 લાખ 76 હજાર બે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા 40 હજારને વટાવી ગઈ છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5 લાખ 31 હજાર 16 લોકોએ જીવ ગુમાવ્યા છે.