Covid-19 India: ચીન સહિત અમેરિકા અને યુરોપમાં કોરોનાના જે હદે કેસ સામે આવી રહ્યાં છે તેને લઈને ભારતમાં પણ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર તરફથી ગાઈડ લાઈન્સ જાહેર કરીને રાજ્યોને તાકિદ કરવામાં આવી રહી છે. ત્યારે શું કોરોનાની સ્થિતિના કારણે ભારતમાં પણ લોકડાઉન લગાવવામાં આવશે કે કેમ તેને લઈને ચર્ચાએ જોર પકડ્યું છે. આ મામલે નિષ્ણાંતોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. 


નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતમાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિને જોતા આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પર પ્રતિબંધ મૂકવાની કે લોકડાઉન લાગુ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ કેટલાક દેશોમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને દેખરેખ અને વધુ તકેદારી રાખવી હિતાવહ છે. તેમણે કહ્યું હતું કે, કોવિડ-19ના ગંભીર કેસ અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ શક્યતા નથી, કારણ કે ભારતમાં લોકોમાં 'હાઈબ્રિડ ઈમ્યુનિટી' વિકસિત થઈ છે.


ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS), દિલ્હીના ભૂતપૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, એકંદરે કોવિડના કેસોમાં કોઈ વધારો થયો નથી અને ભારત હાલ સારી સ્થિતિમાં છે. વર્તમાન સંજોગોમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાની અથવા લોકડાઉન લાદવાની કોઈ જરૂર નથી.


દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા નહીં


ડો. ગુલેરિયાએ કહ્યું હતું કે, અગાઉના અનુભવો દર્શાવે છે કે ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવવો ચેપના ફેલાવાને રોકવા માટે અસરકારક નથી. ડેટા દર્શાવે છે કે ચીનમાં ચેપના ઝડપથી ફેલાવા માટે જવાબદાર Omicronનું BF.7 વેરિઅન્ટ આપણા દેશમાં પહેલાથી જ મળી આવ્યું છે.


આગામી દિવસોમાં લોકડાઉનની જરૂર છે કે કેમ તે અંગે પૂછવામાં આવતા, ડૉ. ગુલેરિયાએ કહ્યું હતું કે, કોવિડના ગંભીર કેસો અને દર્દીઓના હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ સારા રસીકરણ દર અને કુદરતી ટ્રાન્સમિશનને કારણે વધવાની શક્યતા નથી. ભારતીયોમાં હાઇબ્રિડ રોગપ્રતિકારક શક્તિ પહેલેથી જ વિકસિત થઈ ગઈ છે. ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું હતું કે, વર્તમાન પરિસ્થિતિ અને લોકોમાં હાઈબ્રિડ ઈમ્યુનિટીના ઊંચા દરને ધ્યાનમાં રાખીને લોકડાઉનની કોઈ જરૂર વર્તાઈ રહી નથી.


સાવચેત રહેવાની જરૂર 


સફદરજંગ હોસ્પિટલના પલ્મોનરી અને ઇન્ટેન્સિવ કેર વિભાગના પ્રોફેસર ડૉ. નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચીન અને અન્ય કેટલાક દેશોમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ભારતે ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ભારતમાં નજીકના ભવિષ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ ઉભી થાય તેમ લાગતુ નથી.


તેમણે કહ્યું હતું કે, 'હાઇબ્રિડ ઇમ્યુનિટી' વ્યક્તિને ભવિષ્યમાં થનારા ચેપ સામે વધુ સુરક્ષિત બનાવે છે. ડો. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ચીન હાલમાં વધુ સંવેદનશીલ સ્થિતિમાં છે, જેનું કારણ ઓછી કુદરતી પ્રતિરક્ષા, નબળી રસીકરણ વ્યૂહરચના હોઈ શકે છે, જેમાં વૃદ્ધ અને સંવેદનશીલ વસ્તી કરતાં યુવાન અને સ્વસ્થ લોકોને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. આ સાથે જ ચાઈનીઝ વેક્સીન પણ ચેપને રોકવામાં ઓછી અસરકારક હોવાનું જાણવા મળ્યું છે.


ચિંતા કરવા જેવું કંઈ નથી


રસીકરણ અંગેના રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર જૂથના અધ્યક્ષ ડૉ. એનકે અરોરાએ જણાવ્યું હતું કે, ભારતમાં કોવિડની વર્તમાન સ્થિતિ નિયંત્રણમાં છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું હતું કે, લોકોએ કોવિડને અનુકૂળ વર્તન અપનાવવું પડશે અને રસીના બૂસ્ટર ડોઝ લેવા જોઈએ.


જાપાન, અમેરિકા, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ફ્રાન્સ અને ચીનમાં વધતા કેસ વચ્ચે ભારતે કોવિડ સંક્રમિત સેમ્પલના સર્વેલન્સ અને જીનોમ સિક્વન્સિંગની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. ભારતની 97 ટકા વસ્તીએ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 90 ટકા લોકોએ બીજો ડોઝ લીધો છે. માત્ર 27 ટકા વસ્તીને બૂસ્ટર ડોઝ મળ્યો છે.