કેંદ્ર સરકારે કોરોનાની નવી ગાઈડલાઈન કરી જાહેર, રાજ્યોને કયા પગલા ભરવાની આપી છૂટ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Nov 2020 09:32 PM (IST)
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોના મહામારી રોકવા માટે સ્થાનિક સ્તરે નાઇટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધ લગાવવાની છૂટ આપી છે.
નવી દિલ્લીઃ દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે કન્ટેન્મેન્ટ, સર્વેલન્સ, સતર્કતાને લઈને નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં જણાવ્યું છે કે, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કન્ટેન્મેન્ટ ઝોનમાં સખ્તાઇથી નિયમો લાગુ કરવા પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરાયેલી ગાઇડલાઇન 1 ડિસેમ્બરતી 31 ડિસેમ્બર 2020 સુધી અમલમાં રહેશે. આ સાથે અન્ય ગતિવિધિઓ માટે સ્ટાન્ડર્ડ ઓફ પ્રોટોકોલ્સ(એસઓપી) જાહેર કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, કન્ટેન્મેન્ટ ઝોનમાં ફક્ત આવશ્યક ગતિવિધિને જ મંજૂરી અપાશે. કન્ટન્મેન્ટ ઝોનમાં નિયમોનું સખ્તાઇથી પાલન કરવાની જવાબદારી સ્થાનિક-જિલ્લા પોલીસ, અને પાલિકા ઓથોરિટીની રહેશે. આ સાથે જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંબંધિત અધિકારીઓ સાથે મળીને જવાબદારી નક્કી કરશે. ગૃહ મંત્રાલય તરફથી આપેલા નિવેદનમાં જણાવાયું છે કે, સર્વેલન્સ ટીમ ઘરે ઘરે જઈને સર્વેલન્સ કરશે અને કોરોનાના દર્દીઓનો ઉપચાર સુવિધાઓ ઝડપથી આઇસોલેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરશે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને કોરોના મહામારી રોકવા માટે સ્થાનિક સ્તરે નાઇટ કર્ફ્યૂ સહિતના પ્રતિબંધ લગાવવાની છૂટ આપી છે. જોકે, રાજ્યોને કેન્દ્ર સરકારની સલાહ અને મંજૂરી વગર કન્ટન્મેન્ટ ઝોન બહાર લોકડાઉન લગાવવાની મંજૂરી નહીં મળે. રાજ્યોને એમ પણ કહેવાયું છે કે, તેઓ કાર્યસ્થળો પર સોશિયલ ડિસ્ટન્સ સુનિશ્ચિત કરે. ગૃહ મંત્રાલાયે એક નિવેદનમાં ઝણાવ્યું છે કે, જે શહેરમાં સાપ્તાહિક કેસ કે પોઝિટિવ રેટ 10 ટકાથી વધુ છે, ત્યાં સંબંધિત રાજ્યો અને કેન્દ્ર શાસિસત પ્રદેશોએ તબક્કાવાર ઓફિસ ટાઇમિંગ અને અન્ય ઉપાય અમલમાં મૂકવા જોઇએ, જેથી એક સમયમાં વધુ કર્મચારી ન આવી શકે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય.