નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલના રોજ સવારે રાજ્યના મુખ્યમંત્રો સાથે વીડિયો કોન્ફ્રન્સિંગ મારફતે વાતચીત કરશે. આ બેઠકમાં કોરોના વાયરસ વિરુદ્ધ આગળની લડાઇ અંગે ચર્ચા થઇ શકે છે. કોરોના વાયરસ દેશમાં ફેલાવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ પર વડાપ્રધાન મોદીની આ ત્રીજી બેઠક હશે.


મુખ્યમંત્રીઓ સાથે વડાપ્રધાનની છેલ્લી બેઠક 11 એપ્રિલના રોજ થઇ હતી જેમાં મોટાભાગના મુખ્યમંત્રીઓએ 21 દિવસનું લોકડાઉન વધારવાની માંગ કરી હતી. ત્યારબાદ વડાપ્રધાન મોદીએ 14 એપ્રિલના રોજ દેશને સંબોધન કર્યું હતું જેમાં લોકડાઉનને 3 મે સુધી વધારવાની જાહેરાત કરી હતી. આ અગાઉ વડાપ્રધાને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 20 માર્ચના રોજ ચર્ચા કરી હતી.

તે સિવાય પંચાયતી રાજ દિવસના અવસર પર દેશભરની પંચાયતોને સંબોધિત કરશે. 24 એપ્રિલના રોજ  દેશમાં પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવશે. વડાપ્રધાન મોદી દેશના વિકાસ માટે શું પગલા ભરવા જોઇએ તેના પર ચર્ચા કરશે. આ અવસર પર તેઓ સ્વામિત્વ યોજનાની શરૂઆત કરશે.