નવી દિલ્હી: કોરોના વાયરસનું સંકટ દેશમાં સતત વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 1329 કેસ નોંધાયા છે. આ સાથે જ 44 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. આ સાથે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 18985 પર પહોંચી છે. જેમાં 15122 એક્ટિવ કેસ છે, 3260 દર્દીઓ સ્વસ્થ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 603 લોકોના મોત થયા છે.




મંગળવારે સાંજે ચાર વાગ્યે આયોજિત પત્રકાર પરિષદમાં કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે 705 દર્દીઓ કાલે એટલે કે સોમવારે સ્વસ્થ થયા છે. તેમણે કહ્યું હવે રિકવરી રેટ 17.48 ટકા થઈ ગયો છે.

ICMRએ જણાવ્યુ કે, કોરોનાના અત્યાર સુધી 4 લાખ 49 હજાર 810 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગઈકાલે, 35,852 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 201 પરીક્ષણ ICMRમાં કરવામા આવ્યા જ્યારે બાકીના 6076 ટેસ્ટ 86 ખાનગી લેબમાં ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

રેપિડ કીટ પર હાલ સ્ટે મુકવામાં આવ્યો છે. હવે તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તેનો ઉપયોગ કરવો કે નહીં તે અંગે દિશા નિર્દેશ બહાર પાડવામાં આવશે.