નવી દિલ્હીઃ વિશ્વભરમાં કોરોના રસીકરણ પ્રોગ્રામની શરૂઆત થઈ ગઈ છે. આ મહામારી વિરૂદ્ધ ભારતમાં પણ 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ અભિયાન શરૂ થઈ ગયું છે. ભારતમાં ચાલી રહેલ રસીકરણની ખાસ વાત એ છે કે વિશ્વના દેશોમાં રસીકરણ બાદ ભારતમાં સૌથી ઓછા લોકો બીમાર પડ્યા છે. ભારતમાં હાલમાં માત્ર 600 લોકોને બીમારી થયાની જાણકારી છે. આ આંકડો વિશ્વના કોઈપણ દેશની તુલનામાં સૌથી ઓછો છે.


કોરોના રસીકરણને કારણે બીમાર થયેલ 600 લોકોમાંથી માત્ર 10 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 7 લોકોને રજી આપી દેવામાં આવી છે. દિલ્હીમાં કોરોના રસી લેનારમાંથી કુલ ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ચારમાંથી એક સ્વાસ્થ્યકર્મી છે જેને શાહદરાની રાજીવ ગાંધી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે.

કર્ણાટકમાં પણ રસીકરણ બાદ બીમાર થવાના બે કેસ સામે આવ્યા છે, જેમાંથી એકને ચિત્રાદુર્ગાના જિલ્લા હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. ઉપરાંત ઉત્તરાખંડ, છત્તીસગઢ, રાજસ્થાન અને પશ્ચિમ બંગાળમાં રસીકરણ બાદ એક એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

ઉત્તરાખંડ, છત્તીસગઢ અને રાજસ્થાનના દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે પશ્ચિમ બંગાળના મુર્શીદાબાદ જિલ્લામાં એક વ્યક્તિને હાલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવી છે.

નોંધનીય છે કે, ભારતમાં અત્યાર સુધી અંદાજે સાત લાખ સ્વાસ્થ્યકર્મીઓને કોરોના રસી આપવામાં આવી છે. સરકારી આંકડા અનુસાર, રસીકરણ અભઇયાન શરૂ થયા બાદ કુલ 4 સ્વાસ્થ્યકર્મીઓા મોત થાય છે જેમાં 4માંથી 3ના મોત કોરોના રસી સંબંધિત નથી.