Coronavirus: કેરળમાં હોમ ક્વોરન્ટાઈનમાંથી ભાગેલા IAS અધિકારી સસ્પેન્ડ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Mar 2020 09:20 AM (IST)
કેરળમાં 14 દિવસના હોમ ક્વોરન્ટાઈનમાંથી ભાગી પોતાના ઘર ઉત્તરપ્રદેશ સ્થિત પહોંચેલા 2016ની બેંચના કેરળ કેડરના આઈએએસ અધિકારી અનુપમ મિશ્રાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નવી દિલ્હી: કેરળમાં 14 દિવસના હોમ ક્વોરન્ટાઈનમાંથી ભાગી પોતાના ઘર ઉત્તરપ્રદેશ સ્થિત પહોંચેલા 2016ની બેંચના કેરળ કેડરના આઈએએસ અધિકારી અનુપમ મિશ્રાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમના પર કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય છોડવા પર કેરળ સરકારે તેમની પાસે જવાબ માંગ્યો છે. જ્યારે, સુલતાનપુરમાં તેમને પરિવાર સાથે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અનુપમ મિશ્રા હાલમાં જ સિંગાપુરથી હનીમૂન કરી પરત ફર્યા હતા. કોલ્લમના એસપી ટી નારાયણે જણાવ્યું કે 19 માર્ચના હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલા મિશ્રા રાજ્ય સરકારને સૂચના આપ્યા વગર પોતાના ઘરે પહોંચી ગયા. આ જાણકારી સામે આવ્યા બાદ કેરળ પોલીસે કોલ્લમના જિલ્લાઅધિકારી અનુપમ મિશ્રા સામે અલગ-અલગ ધારાઓમાં કેસ દાખલ કર્યો છે. જ્યારે, શુક્રવારે મુખ્યમંત્રી પી. વિજયને દિશા-નિર્દેશોના ઉલ્લંધન પર તેમને સસ્પેન્ડ કરી દીધા છે. બીજી તરફ, આઈએએસ અધિકારી કાનપુરમાં હોવાને લઈને યૂપી પોલીસ હરકતમાં આવી હતી. ઘણા કલાકો સુધી પોલીસે તેમની શોધખોળ કર હતી. અંતે સર્વિલાંસમાં આઈએએસ અધિકારીની લોકેશન સુલતાન પુર ટ્રેસ થયું હતું. બાદમાં પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. તપાસ બાદ પોલીસે આઈએએસ અધિકારી અને તેમના પરિવારને ઘરમાં જ ક્વોરન્ટાઈન કરી દીધો છે.