નવી દિલ્હી: કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવારે આયોજિત નિયમિત પત્રકાર પરિષદ દરમિયાન સીરો સર્વેના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા. જે મુજબ, દેશમાં 67.7 ટકા લોકોમાં સીરો પ્રિવિલેન્સ જોવા મળ્યું. એટલે કે બે તૃતીયાંશ લોકોમાં એન્ટીબોડી મળી છે. આઈસીએમઆરના ડીજી બલરામ ભાર્ગવે કહ્યું કે 40 કરોડ જનસંખ્યા પર હજુ પણ કોરોનાનો ખતરો છે. આ સર્વે જૂન-જુલાઈમાં કરાવવામાં આવ્યો છે. 


ICMR ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે રાષ્ટ્રીય સીરો સર્વેનો ચોથો તબક્કો જૂન-જુલાઈમાં 21 રાજ્યોના 70 જિલ્લામાં કરવામાં આવ્યો હતો. તેમાં 6-17 વર્ષની ઉંમરના બાળકો સામેલ હતા. તેમણે કહ્યું કે, સર્વેક્ષણમાં સામેલ કરવામાં આવેલા સ્વાસ્થ્ય કર્મીઓમાં 85 ટકામાં સાર્સ-સીઓવી-2 વિરુદ્ધ એન્ટીબોડી મળી છે, જ્યારે સ્વાસ્થ્ય કર્મીઓમાં 10 ટકાને અત્યાર સુધી રસી લાગી નથી. 



સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, એક તૃતિયાંશ જનસંખ્યામાં સાર્સ-સીઓવી-2 એન્ટીબોડી ન મળી, જેનો અર્થ છે કે આશરે 40 કરોડ લોકોને હજુ પણ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો છે. કોરોના કેસને ધ્યાનમાં રાખતા સરકારે લોકોને કહ્યું કે, સામાજિક, ધાર્મિક, રાજકીય મેળાવડાથી દૂર રહે, બિનજરૂરી યાત્રા ટાળે, અને સંપૂર્ણ રસીકરણ બાદ યાત્રા કરે. આઈસીએમઆરે કહ્યું કે, બાળકો વાયરસના સંક્રમણનો સારી રીતે સામનો કરી શકે છે. 


સીરો સર્વોમાં સામેલ 12,607 લોકો એવા હતા, જેણે વેક્સિન લીધી નથી. 5038 એવા હતા જેને એક ડોઝ લાગ્યો હતો અને 2631 ને બંને ડોઝ લાગ્યા હતા. સર્વેમાં સામે આવ્યું કે, વેક્સિનના બંને ડોઝ લેનારામાં 89.8 ટકા એન્ટીબોડી બની. તો એક ડોઝ લેનારામાં 81 ટકા એન્ટીબોડી બની છે. તેણે વેક્સિન નથી લીધી એવા 62.3 ટકા લોકોમાં એન્ટીબોડી મળી. તેવામાં એવું માની શકાય છે કે વેક્સિન લીધા બાદ એન્ટીબોડી બની રહી છે. 


દેશમાં છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા


 


દેશમાં આજે 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 97.37 ટકા થઈ ગયો છે. જયારે દરરોજનો પોઝિટિવિટી રેટ 1.68 ટકા છે. દેશમાં ગઈકાલે 374 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલ લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 3 કરોડ 11 લાખ 74 હજાર 322 થઈ ગઈ છે. જ્યારે 374 મોતની સાથે કુલ મોતની સંખ્યા 4 લાખ 14 હજાર 482 થઈ ગઈ છે. દેશમાં 45 હજાર 254 ગઈકાલે ડિસ્ચાર્જ થયા બાદ કુલ ડિસ્ચાર્જની સંખ્યા 3 કરોડ 3 લાખ 53 હજાર 710 થઈ ગઈ છે. દેશમા એક્ટિવ કેસની કુલ સંખ્યા 4 લાખ 6 હજાર 130 છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 52 લાખ 67 હજાર 309 કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા. આ સાથે જ કુલ રસીકરણો આંકડો 41 કરોડ 18 લાખ 46 હજાર 401 એ પહોંચી ગયો છે.