નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીએ (Coroanvirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. સતત સાતમા દિવસે ભારતમાં કોરોનાના 2 લાખથી વધારે કેસ નોંધાયા હતા અને 1,000થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઉપરાંત એક્ટિવ કેસનો આંકડો 21 લાખને પાર થઈ ગયો છે.  છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે. 


આ દરમિયાન આજે ભારત સરકારના નિર્દેશ બાદ સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોવિશીલ્ડ વેક્સિનની કિંમતની જાહેરાત કરી છે. રાજ્ય સરકારોને કોવિશીલ્ડ વેક્સિનના પ્રતિ ડોઝ માટે 400 રૂપિયા અનેે ખાનગી હોસ્પિટલોએ પ્રતિ ડોઝ 600 રૂપિયા ચુકવવા પડશે. 



સીરમ ઈન્સ્ટિટયૂટના સીઇઓ આદર પૂનાવાલાએ જણાવ્યું હતું કે, "આવતા બે મહિના સુધી અમે રસીની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરીશું. અમારી ક્ષમતાનો 50 ટકા હિસ્સો ભારત સરકારના રસીકરણ અભિયાનને આપવામાં આવશે અને બાકીનો 50 ટકા રાજ્ય સરકારો અને ખાનગી હોસ્પિટલો માટે રહેશે. કંપનીએ કહ્યું છે કે તેની રસી અન્ય તમામ રસીઓની તુલનામાં સસ્તી છે. અમેરિકન કંપની ફાઇઝર અને મોડર્નાની રસીનો ભાવ 1500 છે. સ્પુતનિક વીની કિંમત ડોઝ દીઠ 750 રૂપિયા છે.


દેશમાં પહેલી મેથી 18 વર્ષથી વધુ વયના દરેક લોકોને કોરોનાની રસી અપાશે. કોવેક્સિન માટે ભારત બાયોટેકને 1500 કરોડ અને કોવિશીલ્ડ માટે સીરમને 3000 કરોડ કેન્દ્ર આપશે.


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,95,041 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2023 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,67,457 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 56 લાખ 16 હજાર 130


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 32 લાખ 76 હજાર 039


કુલ એક્ટિવ કેસ - 21 લાખ 57 હજાર 538


કુલ મોત - 1 લાખ 82 હજાર 553


 13 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 13 કરોડ 01 લાખ 19 હજાર 310 ડોઝ આપવામાં આવ્યા છે.


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.