Delhi : પોલીસને આરોપીઓના  બાયોમેટ્રિક ડેટા એકત્ર કરવાની મંજૂરી આપતું બિલ લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે. ગૃહે સોમવારે ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલને મંજૂરી આપી હતી. અગાઉ બિલ પર ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલ લાવવા પાછળ સરકારનો હેતુ કાયદો અને વ્યવસ્થા અને દેશની આંતરિક સુરક્ષાને મજબૂત કરવાનો છે. કાયદાના મુસદ્દામાં આ બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ બિલ પોલીસને ગુનેગારો તેમજ ગુનાના આરોપી વ્યક્તિઓનો બાયોમેટ્રિક ડેટા એકત્રિત કરવા માટે કાયદાકીય મંજૂરી આપવા માંગે છે.


ક્રિમિનલ પ્રોસિજર (ઓળખ) બિલનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે આ બિલ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર એક મોડેલ જેલ મેન્યુઅલ પણ તૈયાર કરી રહી છે જે રાજ્યોને મોકલવામાં આવશે. તેમણે કહ્યું કે જેલ મેન્યુઅલ મોકલવાથી ઘણી બધી ચિંતાઓ દૂર થઈ જશે. તેમાં કેદીઓનું પુનર્વસન, તેમને ફરીથી મુખ્ય પ્રવાહનો ભાગ બનાવવા, જેલ સત્તાધિકારીઓની સત્તાઓને મર્યાદિત કરવી, શિસ્ત જાળવવી, સુરક્ષા જેવા વિષયો સંબંધિત વિવિધ જોગવાઈઓ છે. આ સાથે મહિલાઓ માટે અલગ જેલ અને ઓપન જેલ બનાવવાનું પણ કહેવામાં આવ્યું છે.




આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ચર્ચાનો જવાબ આપતા કહ્યું હતું કે આ બિલ કોઈ દુરુપયોગ માટે લાવવામાં આવ્યું નથી. બિલના આવવાથી કોઈપણ ડેટાના દુરુપયોગની શક્યતા નથી. તેમણે કહ્યું કે જે લોકો માનવ અધિકારોની ચિંતા કરી રહ્યા છે તેઓએ પીડિત લોકોના માનવ અધિકારોની પણ ચિંતા કરવી જોઈએ.


અમિત શાહે  કહ્યું, "આ બિલ કાયદાનું પાલન કરનારા લોકોના માનવ અધિકારોનું રક્ષણ કરે છે. લોકો પૂછે છે કે તે વહેલો કેમ ન આવ્યું, હું કહું છું કે આટલું મોડું કેમ થઈ ગયું." તેમણે કહ્યું કે જે લોકો માનવ અધિકારનો ઉલ્લેખ કરે છે તેઓએ બળાત્કાર પીડિતાના માનવ અધિકારો વિશે પણ વિચારવું જોઈએ. તેઓ (વિપક્ષ) માત્ર બળાત્કારીઓ, લૂંટારાઓની ચિંતા કરે છે, પરંતુ કેન્દ્રને કાયદાનું પાલન કરનારા નાગરિકોના માનવ અધિકારોની ચિંતા છે.