નવી દિલ્હીઃ કોરોના બાદ હવે ભારતમાં એમ્ફાન વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં તબાહી મચાવી દીધી છે. પશ્ચિમ બંગાળમાં આના કારણે ચાર લોકોના મોત થયા છે, અને પાંચ હજારથી વધુ ઘરો ધરાશાયી થયાના સમાચાર છે.


કાલે બપોરે ત્રણ વાગે ચક્રવાતી વાવાઝોડુ એમ્ફાનનુ લેન્ડિંગ દ્રીઘાની પાસે થયુ હતુ, વાવાઝોડાની ઝડપ 155 થી 165 કિમી પ્રતિ કલાકની હતી. આ ભયાનક વાવાઝોડાના કારણે ઓડિશામાં પણ ત્રણ લોકોના મોત થયા છે, ભદ્રક, કેન્દ્રપારા અને સંભલપુરમાં એક એક વ્યક્તિનું મોત થઇ ગયુ છે. બાંગ્લાદેશમાં પણ વાવાઝોડાએ તબાહી મચાવી દીધી છે. બાંગ્લાદેશમાં સાત લોકોના મોત આ વાવાઝાડાથી થયાના રિપોર્ટ છે.



પશ્ચિમ બંગાળની દ્રીઘાની પાસે જેવી વાવાઝોડાની લેન્ડિંગ થઇ, તેની થોડીકવાર પછી આની અસર 168 કિમી દુર હાવડામાં દેખાઇ. વાવાઝોડાના કારણે પવન 170 કિમી સુધી પહોંચ્યો હતો. હાવાડા બ્રિજ ઉપરાંત શહેરના બીજા કેટલાય ભાગોમાં પણ વાવાઝોડાના કારણે હલી ગયા હતા.

ભયંકર વાવાઝાડાની અસરથી હજુ પણ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આશંકા છે. આ ઉપરાંત સિક્કિમ, આસામ અને મેઘાલયમાં પણ ભારે વરસાદ પડશે. હાલ એમ્ફાન વાવાઝાડાની ઝડપ થોડી ઓછી થઇ છે. સવારે છ વાગે વાવાઝોડાની સ્પીડ 40 કિમી પ્રતિ કલાક હતી.