Cyclone Asani Updates: બંગાળની ખાડીમાં બનેલું ચક્રવાતી તોફાન અસાની સોમવારે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટીય પ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. જો કે, આગળના બે દિવસમાં ધીમે-ધીમે નબળું પડવાની સંભાવના છે. હવામાન વિભાગે આ જાણકારી આપતાં જણાવ્યું કે, અસાની વાવાઝોડાની અસર રુપે 120 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે અને વરસાદ પણ આવી શકે છે.
 
ભારતીય હવામાન વિભાગ (IMD) એ સોમવારે સવારે 8:45 વાગ્યે જાહેર કરેલા વિશેષ બુલેટિનમાં જણાવ્યું હતું કે, આજે સવારે 5.30 વાગ્યે ચક્રવાતી તોફાન વિશાખાપટ્ટનમથી લગભગ 550 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ અને પુરીથી 680 કિમી દક્ષિણ-દક્ષિણ-પૂર્વમાં હતું. વિભાગના જણાવ્યા અનુસાર, "મંગળવાર સુધીમાં તે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધે અને ઉત્તર આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠેથી પશ્ચિમ મધ્ય અને અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી સંભાવના છે."
 
વાવાઝોડું ઓડિશા કે આંધ્રપ્રદેશ સુધી નહીં પહોંચેઃ
"ત્યારબાદ, તે ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ વળે અને ઓડિશાના કિનારે ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધે તેવી શક્યતા છે," બુલેટિનમાં જણાવ્યું હતું. IMDના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ રવિવારે કહ્યું કે, તે ઓડિશા કે આંધ્રપ્રદેશ નહીં પહોંચે. તેમણે કહ્યું હતું કે, ચક્રવાત પૂર્વ કિનારાની સમાંતર રહીને આગળ વધશે અને મંગળવાર સાંજથી વરસાદ પડવાનું શરુ થઈ શકે છે.
 
ખાડીમાં દરિયાઈ હિલચાલ વધુ તીવ્ર બને તેવી શક્યતાઃ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ-મધ્ય અને તેની નજીકના દક્ષિણ બંગાળની ખાડીમાં દરિયાઈ હિલચાલ વધુ તીવ્ર થવાની સંભાવના છે અને માછીમારોને આગામી કેટલાક દિવસો સુધી આ વિસ્તારથી દૂર રહેવા માટે સુચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે, મંગળવારે સાંજથી ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.


આ પણ વાંચોઃ


બનાસકાંઠા: કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય હજારો સમર્થકો સાથે ભાજપમાં જોડાશે