બંગાળમાં દરિયાકાંઠે ટકરાયું વાવાઝોડુ બુલબુલ, આગામી 6-8 કલાક ગંભીર
abpasmita.in | 10 Nov 2019 07:46 AM (IST)
હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ, બુલબુલ વાવાઝોડું સાગર આઇલેંડ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપારા (બાંગ્લાદેશ) વચ્ચે થઈને સુંદરબન ડેલ્ટાને પાર કરીને ઉત્તર-પૂર્વ ભારત તરફ જશે. હવામાન વિભાગે હાલ ચક્રવાતને ગંભીર શ્રેણીમાં રાખ્યું છે.

નવી દિલ્હીઃ ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝડપી પવન અને ભારે વરસાદના કારણે ચક્રવાતી તોફાન બુલબુલ હવે કોલકાતામાં તેની અસર દેખાડી રહ્યું છે. ચક્રવાતના કારણે રાજ્યમાં અનેક સ્થળોએ ઝાડ પડવાના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી મુજબ ઝાડ પડવાના કારણે રાજ્યમાં એક વ્યક્તિના મોતના અહેવાલ છે. હવામાન વિભાગે આપેલી જાણકારી મુજબ, બુલબુલ વાવાઝોડું સાગર આઇલેંડ (પશ્ચિમ બંગાળ) અને ખેપુપારા (બાંગ્લાદેશ) વચ્ચે થઈને સુંદરબન ડેલ્ટાને પાર કરીને ઉત્તર-પૂર્વ ભારત તરફ જશે. હવામાન વિભાગે હાલ ચક્રવાતને ગંભીર શ્રેણીમાં રાખ્યું છે. જે બાદ નબળું પડવાનો અંદાજ છે. આગામી 6 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ઉપરાંત 18 કલાક સુધી બંગાળની ખાડીમાં ન જવાનો આદેશ પણ કર્યો છે. આગામી 36 કલાકમાં મેઘાલય, મિઝોરમ અને આસામમાં હળવા વરસાદની સંભાવના છે. સાવચેતીના પગલાંરૂપે એનડીઆરએફની 35 ટીમ તહેનાત કરાઈ છે. બીજી બાજુ ઓડિશામાં પણ આ તોફાનને કારણે સમુદ્રમાં બેથી ત્રણ મીટર ઊંચા મોજાં ઊછળે તેવી સંભાવના છે. 120 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે. પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કાંઠાના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.