આસામના નગાંવના રહેવાસી નિહારિકા દાસ કોરોના પોઝિટિવ સસરાને પીઠ પર ઉઠાવીને 2 કિલોમીટર ચાલીને હોસ્પિટલ લઈ ગઈ હતી. આ દરમિયાન લોકો તેની તસવીર ખેંચતા રહ્યા, પરંતુ કોઈ મદદ માટે આગળ ન આવ્યું. તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીર વાયરલ થયા બાદ લોકો નિહારિકાને આદર્શ પુત્રવધૂ ગણાવી રહ્યા છે. જોકે આટલા પ્રયત્નો બાદ પણ નિહારિકા પોતાના સસરાનો જીવ બચાવી ન શકી.


નિહારિકાના સસરાની 2 જૂનના રોજ તબિયત ખરાબ થઈ


હકીકતમાં 2 જૂનના રોજ નિહારિકાના સસરા થુલેશ્વર દાસમાં કોરોનાનાં લક્ષણો દેખાયાં હતાં. થુલેશ્વર રાહા ક્ષેત્રના ભાટિગાંવમાં સોપારીના વિક્રેતા છે. સ્વાસ્થ્ય ખરાબ થવાને પગલે 2 કિમી દૂર રહેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવા માટે પુત્રવધૂ નિહારિકાએ રિક્ષાની રાહ જોઈ હતી. જોકે રસ્તો ખરાબ હોવાને કારણએ ઓટો રિક્શા ત્યાં ન આવી શકી. નિહારિકાના પતિ કામ માટે સિલીગુડીમાં રહે છે. એવામાં સસરાને પીઠ પર ઉઠાવવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ ન હતો. નિહારિકાને એક 6 વર્ષનો દીકરો પણ છે.


હોસ્પિટલ લઈ જવા માટે ન મળી એમ્બ્યુલન્સ અને સ્ટ્રેચર


નિહારિકાની મુશ્કેલી અહીં જ પૂરી થઈ ન હતી. સ્વાસ્થ્ય કેન્દ્રમાં સસરાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ડોક્ટરોએ તેને 21 કિ.મી દૂર નગાંવની કોવિડ હોસ્પિટલ લઈ જવા કહ્યું. સ્વાસ્થ્ય કેન્દ્રથી તેને એમ્બ્યુલન્સ અથવા સ્ટ્રેચરની સુવિધા પણ મળી ન હતી. બાદમાં એક પ્રાઈવેટ કારની વ્યવસ્થા કરી પણ તેના માટે પણ સસરાને પીઠ પર ઉઠાવીને દૂર સીધી ચાલવું પડ્યું હતું. જોકે આટલું બધું થવાં છતાં કોઈપણ તેની મદદ માટે આગળ આવ્યું ન હતું. સસરા લગભગ બેભાન હાલતમાં હતા. તેમને ઉઠાવવા માટે માનસિક અને શારીરિક રીતે ઘણી મહેનત કરવી પડી હતી.


નિહારિકા ખુદ કોરોના પોઝિટિવ છે


નિહારિકા અનુસાર નગાંવ પહોંચીને તેને કોવિડ હોસ્પિટલમાં સસરાને પીઠ પર લઈને સીડીઓ ચડપી પડી. ત્યાં પણ તેની મદદ માટે કોઈ આગળ ન આવ્યું. નિહારિકા ખુદ પણ કોરોના પોઝિટિવ છે.


સસરાને બચાવી શકી નહીં


નિહારિકાનું કહેવું છે કે તેને ગામમાં એમ્બ્યુલન્સ પણ મળી શકી ન હતી. નાની વાનમાં શહેર લાવવા પડ્યા હતા. સારી વાત એ હતી કે માર્ગમાં ઓક્સિજનની જરૂર પડી ન હતી. જોકે 5 જૂનના રોજ ગુવાહાટીની મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં સોમવારે થુલેશ્વર દાસનું અવસાન થઈ ગયું.