નવી દિલ્હીઃ ડોન દાઉદ ઇબ્રાહિમે મુંબઈમાં અંતિમ કોલ ક્યારે કર્યો હતો, તેને લઈને મુંબઈ પોલીસ પાસે કોઈ રેકોર્ડ નથી, પરંતુ પોલિસ હંમેશા દાવો કરી રહી છે કે તેની ગેંગના પાકિસ્તાનમાં બેસેલ પન્ટર નિયમિત રીતે મુંબઈથી કોલ્સ કરતાં રહે છે. આશ્ચર્યજનક રીતે વિતેલા બે મહિનામાં આવનારા આ કોલ્સની સંખ્યા ઘણી ઘટી ગઈ છે. તપાસ એજન્સીઓ આ રહસ્યની જાણવાનો પ્રયત્ન કરી રહી છે.


એક અધિકારીએ જણાવ્યું કે, “છેલ્લા 2-3 મિહાનમાં 2 મોટી ઘટનાઓ ઘટી. અમે દાઉદનાં ભત્રીજા રિઝવાનની જુલાઈનાં ત્રીજા અઠવાડિયામાં ધરપકડ કરી અને 5 ઑગષ્ટથી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવી દીધી કલમ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાનથી આવનારી દરેક લાઇન, કૉલ સર્વેલેંસ પર છે. બની શકે કે આઈએસઆઈ દ્વારા પાકિસ્તાનમાં બેઠેલા ડી કંપનીનાં લોકોને આદેશ આપવામાં આવ્યો હોય કે તમે લોકો પાકિસ્તાનમાં છો તેનો પૂરાવો ના છોડો, નહીં તો ભારત આંતરરાષ્ટ્રિય મંચ પર પાકિસ્તાનને ફરી ખુલ્લુ પાડશે.”

મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનાં એક અધિકારીનાં જણાવ્યા પ્રમાણે, “દાઉદ ગેંગનાં બે મુખ્ય સભ્ય છોટા શકીલ અને ફહીમ મચમચ મહિનામાં સરેરાશ 7થી 8 કૉલ્સ મુંબઈમાં ડી કંપનીનાં પરિવારનાં લોકોને કરતા જ હતા. જ્યારે ઇકબાલ કાસકરની ધરપકડ કરી હતી, ત્યારે એક દિવસમાં જ 20થી 25 કૉલ્સ આવતા હતા. આ કૉલ્સમાં દાઉદનો મેસેજ પણ પહોંચાડવામાં આવતો હતો. કેટલાક કૉલ્સમાં અનીસનું રેકૉર્ડિંગ પણ વ્હોટ્સએપ દ્વારા મોકલવામાં આવતુ હતુ. કાયદાકીય મદદ માટે પણ કૉલ્સ આવતા હતા.”

અત્યારે કૉલ્સ આવવાની ગતિવિધિઓ લગભગ બંધ થઈ ગઈ છે. રિઝવાનને પણ જે કાયદાકીય મદદ આપવામાં આવી તેમાં તેના પરિવારનાં લોકો પહેલાથી જ મુંબઈમાં હાજર હતા. આ કારણે તે કેસમાં પાકિસ્તાનથી દાઉદ પરિવાર અથવા તેના ત્યાં બેઠેલા પંટરોએ સીધા કોલ્સ કર્યા હોય તેના કોઈ પુરાવા તપાસ એજન્સીઓને નથી મળ્યા.