નવી દિલ્હી: પાડોશી દેશ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયરના ઉલ્લંઘન પર રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કડક વલણ અપનાવતા પાકિસ્તાનને ચેતવણી આપી છે. નિર્મલા સીતારમણે ચેતવણી આપતા કહ્યું કે, અમે સીઝફાયરનું સમ્માન કરીએ છે પરંતુ અમને ઉશ્કેર્યા તો તેનો જવાબ જરૂર આપીશું. રક્ષા મંત્રીએ કહ્યું કે આતંકવાદ અને વાતચીત બન્ને એક સાથે શક્ય નથી.

કેન્દ્ર સરકારમાં ભાજપના ચાર વર્ષ પૂર્ણ થવા પર તેની ઉપલબ્ધિઓને લઇને યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદમાં રક્ષામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે અમારું કામ રમઝાન મહિનામા સીઝફાયરનું આંકલન કરવાનું નથી. અમારું કામ છે સરહદ પર સુરક્ષા કરવાનું. કોઈ પણ કારણ વગર સીઝફાયરનું ઉલ્લંઘન કરશે તો તેનો આકરો જવાબ આપીશું અને તેના માટે અમે એલર્ટ છે. દેશની રક્ષા કરવું અમારું કર્તવ્ય છે.

રક્ષામંત્રીએ કહ્યું કે, ગૃહમંત્રાલયે સેના સાથે વાતચીત કર્યા બાદ જ જમ્મુ-કાશ્મીરમાં રમઝાનમાં સીઝફાયર લાગું કર્યું હતું. તેમણે કહ્યું કે અમે તે નિર્ણયનું સમ્માન કરીએ છે, પરંતુ જવાનો પાસે હજુ પણ જવાબી કાર્યવાહી કરવાનો વિકલ્પ છે. જો સેનાને ઉશ્કેરવામાં આવશે તો તેનો જવાબ ચોકક્સથી આપીશું.

રાફેલ ડીલને લઇને વિપક્ષ દ્વારા ઉઠાવેલા સવાલો પર તેમણે કહ્યું કે, વિપક્ષના તમામ આરોપો બેબુનિયાદ અને નિરાધાર છે. આ ડીલમાં એક પૈસાનું પણ કૌભાંડ નથી થયું. આ બે સરકારો વચ્ચેનું એગ્રીમેન્ટ છે. રાફેલ વિમાનની કીંમતને લઇને ખોટી તુલના કરવામાં આવી રહી છે. આ ડીલમાં કોઈ પણ ગોલમાલ થયો નથી.

રક્ષામંત્રીએ કહ્યું હાલમાં સેના પાસે હથિયારોની કોઈ અછત નથી. રાફેલ ડીલને પર વિપક્ષના આરોપ ખોટા છે. તેમણે કહ્યું સેના પાસે હજુ પણ ફંડની ખોટ નથી.