નવી દિલ્હી: સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે સરંક્ષણ મંત્રી રાજનાથ સિંહ શુક્રવારે(3 જુલાઈ) લદ્દાખની મુલાકાતે જશે. તેમની સાથે થલસેના અધ્યક્ષ મનોજ મુકુંદ નરવેણે પણ રહેશે. સરંક્ષણ મંત્રી અને સેના પ્રમુખ ઈસ્ટર્ન લદ્દાખમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે અને સ્થિતિનો તાગ મેળવશે. ઉલ્લેખનીય છે આ પ્રવાસ એવા સમયે થઈ રહ્યો છે, જ્યારે એલએએસી પર ભારત અને ચીન વચ્ચે તણાવનો માહોલ છે.


સૂત્રો અનુસાર, લદ્દાખ મુલાકાત દરમિયાન રાજનાથ સિંહ વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરી શકે છે. ભારત અને ચીનની સેનાઓ વચ્ચે છેલ્લા સાત અઠવાડિયાછી પૂર્વ લદ્દાખ વિસ્તારમાં અનેક જગ્યાએ તણાવની સ્થિતિ સર્જાઈ છે. ગત મહિનામાં 14-15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં હિંસક અથડામણમાં 20 ભારતીય સૈનિકો શહીદ થયા બાદ તણાવ વધુ વધી ગયો છે. આ અથડામણમાં ચીનના સૈનિકોને પણ નુકસાન થયું છે પરંતુ તેણે તેની સંખ્યા જણાવી નથી.

ઉલ્લેખનીય છે કે, એલએસી પર ચીન પોતાની ચાલાકી બતાવી રહ્યું છે, પરંતુ ભારતે ચીનને સ્પષ્ટપણે કહ્યું છે કે, જ્યાં સુધી સરહદ પર ચીની સૈનિકો તૈનાત નહીં હોય, ત્યાં સુધી વિશ્વાસ પુન: સ્થાપિત કરી શકાશે નહીં. મંગળવારે બન્ને દેશોના કમાન્ડર્સની બેઠક મળી હતી. જેમાં ભારતે ચીનને આ વાત કરી હતી. ભારત અને ચીનના કમાન્ડર સ્તરની ચર્ચા 12 કલાક જેટલી ચાલી હતી. બન્ન દેશોએ આ વાત પર જોર આપ્યો હતો કે, તણાવને ઘટાડવામાં આવે.