નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અને ત્રણેય સૈન્યના વડાઓ સાથે લદાખની સ્થિતિ પર એક ઉચ્ચસ્તરીય બેઠક કરી હતી. બેઠકમાં સૈન્યને ચીન સૈન્ય વિરુદ્ધ તમામ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. સૂત્રોએ સંરક્ષણ મંત્રીની સમીક્ષા બેઠક બાદ આ જાણકારી આપી હતી.


સૂત્રોના મતે ભારતીય દળોને પૂર્વીય લદાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઇ પણ પ્રકારના દુસાહસોનો જવાબ આપવા માટે પુરી રીતે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. ટોચના અધિકારીઓને જમીન, હવાઇ ક્ષેત્ર અને સમુદ્રના રસ્તે ચીનની કોઇ પણ ગતિવિધિઓ પર નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ મોસ્કોમાં આયોજીત વિજય દિવસ પરેડમાં ભાગ લેવા માટે રશિયાની ત્રણ દિવસનો પ્રવાસ કરશે. આ પરેડ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની પર સોવિયતની જીતની 75મી વર્ષગાંઠ પર આયોજીત કરવામાં આવી રહી છે.

પરેડમાં સામેલ થવા માટે ભારતીય સૈન્યના 75 સભ્ચોની ટૂકડી  મોસ્કો પહોંચી ચૂકી છે.  ભારતીય માર્ચિંગ ટુકડીનું નેતૃત્વ ગેલેન્ટ શિખ લાઇટ ઇન્ફ્રૈટ્રી રેજિમેન્ટના મેજર રેન્કના એક અધિકારી કરશે. આ રેજિમેન્ટે બીજા વિશ્વયુદ્ધમાં બહાદુરીની સાથે લડાઇ લડી હતી. તેમના નામ પર ચાર યુદ્ધ સન્માન અને બે સૈન્ય ક્રોસ સહિત અન્ય વીરતા પુરસ્કાર છે. આ પરેડમાં ભારત, ચીન સહિત ઓછામાં ઓછા 11 દેશો ભાગ લઇ રહ્યા છે.