લોકડાઉનની વચ્ચે દેશમાં બસ, ટ્રેન સેવા શરૂ થયા બાદ આજથી ડોમેસ્ટિક હવાઈ મુસાફરીની શરૂઆત થઈ છે. લગભગ બે મહિના સુધી હવાઈ મુસાફરી બંધ રહ્યા બાદ ડોમેસ્ટિક ફ્લાઈટોનું સંચાલન સમગ્ર દેશમાં આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4:45 મીનિટે પુણે માટે સૌથી પહેલી ફ્લાઈટ રવાના થઈ હતી.


એક બાજુ દેશમાં ઘરેલૂ હવાઈ સેવા શરૂ થઈ છે ત્યારે અલગ-અલગ રાજ્યોના વિમાનમાં આવનાર મુસાફરો માટે અલગ-અલગ નિયમ બનાવ્યા છે. ઘણી જગ્યાએ 7 દિવસ સુધી કોરેન્ટાઈન તો ઘણી જગ્યાએ 14 દિવસ સુધી કોરેન્ટાઈન તો અમુક જગ્યાએ તો કોરેન્ટાઈન જ નથી. હવે આને લઈને અનેક સવાર ઉઠી રહ્યાં છે કે ખતરો એક જ છે તો પછી ફ્લાઈટથી આવનારા મુસાફરો બસ અથવા ટ્રેનથી આવનારા મુસાફરો માટે નિયમોમાં ભેદભાવ કેમ?

ઉત્તર પ્રદેશમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમો?

રવિવારે યુપી સરકારે જે નિયમો બનાવ્યા છે તે પ્રમાણે ફ્લાઈટથી આવનારને જો એક અઠવાડિયામાં પરત ફરવાનું છે તો તેને કોરેન્ટાઈનની જરૂરિયાત નથી. જ્યારે યુપીમાં જે લોકો બસ અથવા ટ્રેનથી ઘરે પરત ફરી રહ્યાં છે તેને 14 દિવસ કોરેન્ટાઈન ફરજિયાત રહેવું પડશે. એટલે ફ્લાઈટથી આવનાર લોકોને થોડી છૂટ આપવામાં આવી છે.

દિલ્હીમાં કોરેન્ટાઈનને લઈને શું છે નિયમ?

દિલ્હી સરકારે કોરેન્ટાઈનને લઈને છૂટ આપી છે. દિલ્હી આવનારા હવાઈ મુસાફરોને કોરેન્ટાઈન ફરજિયાત રહેશે નહીં. જે મુસાફરોમાં કોરોનાના થોડા લક્ષણો હશે તે હોમ કોરેન્ટાઈન થશે અથવા સરકારી કોરેન્ટાઈન સેન્ટરમાં રહેશે. ટ્રેન અને બસથી આવનારા મુસાફરો માટે પણ દિલ્હી સરકારે આ નિયમ બનાવ્યા છે.