નવી દિલ્હીઃ દિલ્હીના રામલીલા મેદાનમાં હજારો સમર્થકોની હાજરીમાં અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. તેઓની સાથે 6 મંત્રીઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે સ્ટેજ પરથી સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું કેટલાક લોકો કહી રહ્યા છે કેજરીવાલ બધુ ફ્રી કરી રહ્યા છે. આ દુનિયામાં જેટલી કિંમતી ચીજો છે તે ફ્રી છે.


અરવિંદ કેજરીવાલની સાથે મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલશ ગહલોત, ઈમરાન હુસૈન, રાજેન્દ્ર પાલ ગૌતમે મંત્રી પદના શપથ લીધા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ ઈશ્વરના નામના પદ અને ગોપનિયતાના શપથ લીધા જ્યારે કેટલાક મંત્રીઓ એવા પણ હતા જેમણે વિભિન્ન રીતે પદ અને ગોપનિયતાના શપથ લીધાં હતા.


બાબરપુરના ધારાસભ્યએ પોતાના મંત્રી પદના શપથ દરમિયાન ‘આઝાદીના શહીદો’ના નામ પર શપથ લીધા હતા. ગત સરકારમાં મત્રી રહેલા ઇમરાન હુસૈને ‘અલ્લાહ’ના નામે શપથ લીધા હતા. જ્યારે ગત સરકારમાં જળ અને પ્રવાસન મંત્રી રહેલા રાજેન્દ્ર પાલ ગૌતમે ‘તથાગત બુદ્ધ’નું નામ લઈને શપથ લીધા હતા.

શપથ લીધા બાદ કેજરીવાલે લોકોને સંબોધન કરતી વખતે ઈંકલાબ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. કેજરીવાલે કહ્યું, આ એક ભાઈ, બહેન, યુવા અને વિદ્યાર્થીની જીત છે. દરેક દિલ્હીવાસીની જીત છે. તમારો દીકરો ફરી સીએમ બની ગયો હવે ચિંતાની વાત નથી. કેટલાક લોકોએ આપને વોટ આપ્યા, કેટલાક લોકોએ બીજેપીને વોટ આપ્યા, કેટલાકે કોંગ્રેસને વોટ આપ્યા. આજે હું બધાનો મુખ્યમંત્રી છું. મેં ક્યારેય કામ કરવામાં ભેદભાવ નથી કર્યો. બધા મારા પરિવારમાં સામેલ છે. જો કોઈ પણ કામ હોય તો તમે મારી પાસે આવી શકો છું હું બધાનું કામ કરીશ. હું સૌને સાથી મળીને કામ કરવા માંગુ છું.