નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રવિવારે મુખ્યમંત્રી કેજરીવાલે સામાન્ય તાવ અને ગળામાં ખારાશની ફરિયાદ પછી સોમવારે ખુદને ક્વોરોન્ટાઇન કરી આજે સવારે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો કોરોના રિપોર્ટ આજે સાંજે નેગેટિવ આવ્યો છે. 51 વર્ષીય કેજરીવાલ રવિવારે અસ્વસ્થ થયા હતા અને એ પછી તેઓ કોઈને પણ મળ્યા નહોતા. મુખ્યમંત્રી કેજરીવાલે આજે સવારે જ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.


કેજરીવાલે દિલ્હીમાં તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં પોતાને આઇસોલેટ કરી લીધા હતા. આમ આદમી પાર્ટીના રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું. તેમને તાવ હતો અને ગળામાં બળતરા થતી હતી. રાઘવે કહ્યું હતું કે મોટી ચિંતા એ પણ છે કે કેજરીવાલને ડાયાબિટીસ પણ છે.

મુખ્યમંત્રીએ રવિવારે સવારે પોતાના મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓની સાથે મુલાકાત કરી હતી. સોમવારે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની તબિયત ઠીક નથી. તેમને તાવ અને ગળામાં કફ છે. જેથી તેઓ કોઈ બેઠક પણ નથી કરી રહ્યા.

51 વર્ષના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ડાયબિટીસથી પીડિત છે અને તેઓ રવિવારથી જ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. કેજરીવાલે પોતાના નિવાસ સ્થાન પર કેબિનેટ બેઠક કરી હતી. આ બેઠક બાદ કેજરીવાલે પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છેલ્લા બે મહિનાથી પોતાના ઘરેથી જ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠકો કરી રહ્યા છે.