નવી દિલ્હી: ઉત્તરપ્રદેશમાં શિક્ષક ભરતી કૌભાંડ મામલામાં સરકારે મહત્વની જાણકારી આપી છે. યૂપીના શિક્ષણ મંત્રી સતીશ દ્રિવેદીએ નિવેદન આપ્યું છે કે સરકારે આ મામલે તાત્કાલિક પગલા લીધા છે અને આ મામલામાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ટૉપરની પણ ધરપકડ કરવામાં આવી છે.


સતીશ દ્રિવેદીએ કહ્યું કે આ મામલાની તપાસ માટે સ્પેશલ ટાસ્ક ફોર્સનું ગઠન કરી દેવામાં આવ્યું છે અને શિક્ષક ભરતીમાં કૌભાંડ કરનારા બહાર થશે

શિક્ષણ મંત્રી સતીશ દ્રિવેદીએ આજે એક પત્રકાર પરિષદમાં આ વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હાલ કોઈના ડોક્યૂમેન્ટ વેરીફિકેશનનું કામ શરૂ નથી કરવામાં આવ્યું અને આ પ્રક્રિયા કાઉન્સિલિંગમાં કરવામાં આવશે. તેમણે એ પણ કહ્યું તે શિક્ષક ભરતીમાં 50 ટકા બેઠકો રિઝર્વ્ડ છે જ્યારે બાકી 50 ટકા બેઠકોમાં તમામ નિયમો મુજબ ભરતી થઈ છે.

શું છે મામલો

ઉત્તરપ્રદેશની સ્કૂલોમાં 69,000 સહાયક શિક્ષકોની ભરતીમાં થયેલા કૌભાંડને લઈને હંગામો થયો છે. બસપા સુપ્રીમો માયાવતીએ શિક્ષક ભરતી કૌભાંડની સીબીઆઈ તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું આ મામલો ખૂબ જ ગંભીર છે અને જનતા આશંકિત છે, સીબીઆઈ તપાસ થવી જોઈએ.

પ્રિયંકા ગાંધીએ પણ નિશાન સાધ્યું હતું

કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કાલે ઉત્તરપ્રદેશની યોગી સરકાર પર શિક્ષક ભરતી કૌભાંડ મામલે નિશાન સાધ્યું હતું. પ્રિયંકા ગાંધીએ તેની તુલના મધ્યપ્રદેશના વ્યાપમં કૌભાંડ સાથે કરી હતી. પ્રિયંકા ગાંધીએ આ મામલે સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે જો આ મામલે યોગ્ય ન્યાય નહી મળે તો કૉંગ્રેસ આંદોલન કરશે.