નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે કોરોના સંક્રમણના મામલામાં સામાન્ય વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 94 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે, જ્યારે 7 લોકોના મોત થયા છે. હાલ સંક્રમણ દર 0.13 ટકા છે. આ પહેલા શનિવારે દિલ્હીમાં 86 મામલા નોંધાયા હતા અને પાંચ લોકોના મોત થયા હતા.

દિલ્હીમાં નવા મામલાની સાથે કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 14 લાખ 34 હજાર 554 પર પહોંચી ગઈ છે. જ્યારે કુલ 14 લાખ 8 હજાર 567 લોકો કોરના સામે જંગ જીતી ગયા છે. શહેરમાં કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 24,995 છે. હાલ એક્ટિવ કેસની સંખ્યા 922 છે.

દિલ્હીમાં અનલોકની નવી ગાઇડલાઇન જાહેર

દિલ્હીમાં કોરોના સંક્રમણ ઘટતા સરકારે અનલોકની પ્રક્રિયાને આગળ વધારતા અનલોક-6 માટે દિશા નિર્દેશ જાહેર કર્યા છે. લાંબા સમયથી લોકડાઉનથી છૂટકારો મેળવવા માટે પ્રયાસ કરતા સિનેમાહોલ અને મલ્ટીપ્લેક્સને આ વખતે પણ રાહત નથી મળી. સરકારે હાલ પણ સિનેમાહોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સને બંધ રાખવાની કેટેગરીમાં રાખ્યા છે. જ્યારે સ્પોર્ટ્સ ક્લબ અને સ્ટેડિયમને અનલોક-6માં ખોલવાની મંજૂરી આપી છે.

DDMA દ્વારા ઔપચારિક આદેશમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં સોમવારથી સ્ટેડિયમ/સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખૂલી શકશે પરંતુ દર્શકો વિના. આ પહેલાં દિલ્હીમાં સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખોલવાની પરવાનગી આપી હતી પરંતુ ફક્ત તે લોકોની ટ્રેનિંગ માટે જે કોઇ રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેંટમાં ભાગ લેવાના છે અને રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ આયોજિત કરવા માટે. હવે સ્ટેડિયમ અથવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામાન્ય રીતે ખુલી શકશે પરંતુ ત્યાં દર્શક ન હોવા જોઇએ.

જાણો શું બંધ રહેશે

-સ્કૂલ, કોલેજ, એજ્યુકેશન, કોચિંગ, ટ્રેનિંગ, ઇન્સ્ટિટ્યૂટ

- તમામ સામાજિક, રાજકીય, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેંટ, એકેડૅમિક, સાંસ્કૃતિક તહેવારો સંબંધિત આયોજનો પર પાબંધી હશે.

- સ્વિમિંગ પૂલ

- સિનેમાઘર, થિયેટર, મલ્ટેપ્લેક્સ

- એટરટેનમેંટ પાર્ક, એમ્યૂઝમેંટ પાર્ક, વોટર પાર્ક

- ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ

- બિઝનેસ ટૂ બિઝનેસ એક્ઝિબેનશન

- સ્પા

જાણો શું ખુલ્લુ રહેશે

- સરકારી ઓફિસમાં ગ્રેડ-1 ઓફિસર 100% ક્ષમતા સાથે કામ કરશે અને બાકી સ્ટાફ 50% ઓફિસમાં અને 50 % વર્ક ફ્રોમ હોમ રહેશે.

- પ્રાઇવેટ ઓફિસોને 50% ક્ષમતા સાથે સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે.

- તમામ સ્ટેન્ડ અલોન શોપ, નેબરહુડ શોપ, રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સની દુકાનો ઓડ ઇવન નિયમના તમામ દિવસો ખોલી શકાશે.

- સામાન/સેવાઓ સંબંધિત દુકાનોને ખોલવાનો સમય સવારે 10 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી રહેશે.

- તમામ માર્કેટ, માર્કેટ કોમ્પ્લેક્સ અને મોલ સવારે 10 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

- રેસ્ટોરેન્ટ 50% સીટીંગ કેપેસિટી સાથે સવારે 8 વાગ્યાથી  રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

- બપોરે 12 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 50% બેઠક ક્ષમતા સાથે બાર ખુલશે.

- માર્કેટ, માર્કેટ કોમ્પ્લેક્સ, મોલ સવારે 10 થી રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

- 50 ટકા વેંડર્સ સાથે એકસાથે ઝોનમાં એક દિવસમાં એક સાપ્તાહિક બજાર ખોલવાની પરવાનગી રહેશે.

- રોડ સાઇડ સાપ્તાહિક બજાર લગાવવાની પરવાનગી નથી.

- મેરેજ હોલ, બેક્વિંટ હોલ અને હોટલમાં 50 લોકો સાથે લગ્ન સમારોહ આયોજિત કરવાની પરવાનગી. જોકે ઘરે અને કોર્ટમાં અત્યારે પણ પહેલાંની માફક 20 લોકો સાથે જ લગ્ન કરવાની પરવાનગી છે.

- જિમ અને યોગા સેન્ટરો 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લા રહેશે.

- અંતિમ સંસ્કારમાં 20થી વધુ લોકો સામેલ થઇ શકશે નહી.

- દિલ્હી મેટ્રો 50 ટકા ક્ષમતા સાથે દોડશે.

- દિલ્હીમાં ડીટીસી અને કસ્ટર બસોને 50 ટકા સીટિંગ કેપેસિટી સાથે દોડાવવામાં આવશે.

- ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ શ્રદ્ધાળુઓને પરવાનગી નથી.

- પબ્લિક પાર્ક, ગાર્ડન, ગોલ્ફ ક્લબ ખોલવા અને આઉટડોર યોગા એક્ટિવિટીની પરવાનગી છે.

- સ્ટેડિયમ અથવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સામાન્ય રીતે ખુલ્લા રહેશે પરંતુ ત્યાં દર્શક ન હોવા જોઇએ.