નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. અહીં સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. સાથે કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે.


દિલ્હીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 27 હજારને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1320 નવા કેસ સામે આવ્યા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં 349 દર્દીઓ સ્વસ્થ પણ થયા છે. દિલ્હી માટે રાહતની ખબર એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં એક પણ મોત થયું નથી. હાલ 15311 એક્ટિવ કેસ છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકાર પર કોરોનાથી મરનારાઓના આંકડા છૂપાવાનો પણ આરોપ લાગ્યો છે. અહીં 25 મે થી 5 જૂન વચ્ચે 53 મોતની લેટ રિપોર્ટિંગ થઈ છે. જેના બાદ હાલ કુલ મૃત્યુઆંક 761 થયો છે.

લેટેસ્ટ જાણકારી પ્રમાણે, રવિવારે દિલ્હીમાં કેન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 219 થઈ ગઈ છે. હાલમાં ઉત્તર દિલ્હીમાં સૌથી વધુ 33 અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં સૌથી ઓછા 4 કન્ટેન્મેન્ટ ઝોન છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,46,628 પર પહોંચી છે. 6929 લોકોના મોત થયા છે અને 1,19,293 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,20,406 એક્ટિવ કેસ છે.