નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની ઇરાદાપૂર્વક હત્યા કરવાના મામલામાં દિલ્હીની તીસ હજારી કોર્ટે કુલદીપ સિંહ સેન્ગર સહિત સાત આરોપીઓને દસ વર્ષની જેલની સજા સંભળાવી છે. સાથે 10 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગુરુવારે સજા પર ચર્ચા પુરી થઇ ગઇ હતી.


દિલ્હીની તીસ હજારી કોર્ટે 4થી માર્ચે સેન્ગર સહિત સાત આરોપીઓને દોષી ઠેરવ્યા હતા, પીડિતાના પિતાનુ મોત 9 એપ્રિલ, 2018 પોલીસ કસ્ટડીમાં થયુ હતુ. ભાજપના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપ સિંહ સેન્ગરે કહ્યું કે, જો તેને કંઇપણ ખોટુ કર્યુ હોય તો ફાંસીએ લટકાવી દેવો જોઇએ, અને તેની આંખોમાં તેજાબ નાંખી દેવુ જોઇએ.

ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાના મોત મામલે તેમને ઇરાદાપૂર્વક હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. સજાની અવધિ પર સુનાવણી દરમિયા સેન્ગરે ખુદ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.


આ કેસમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર, કામતા પ્રસાદ (સબ ઇન્સ્પેક્ટર), અશોક સિંહ ભદૌરિયા, વિનીત મિશ્રા ઉર્ફ વિનય મિશ્રા, બીરેન્દ્ર સિંહ ઉર્ફ બઉવા સિંહ, શશિ પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ અને જયદીપ સિંહ ઉર્ફ અતુલ સિંહને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. શૈલેન્દ્ર સિંહ, રામશરણ સિંહ, અમીર ખાન, કોન્સ્ટેબલ અને શરદવીર સિંહને કોર્ટે નિર્દોષ છોડ્યા હતા.

અગાઉ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસને ઉત્તર પ્રદેશ બહાર શિફ્ટ કરી દીધો હતો ત્યારબાદથી તીસ હજારી કોર્ટમાં આ મામલાની સુનાવણી ચાલી રહી હતી. આ કેસમાં પીડિતાના પક્ષથી કુલ 55 લોકોએ સાક્ષી આપી. જ્યારે બચાવ પક્ષ તરફથી ફક્ત નવ સાક્ષીઓ કોર્ટમાં રજૂ થયા હતા.