દિલ્હી ચૂંટણી: AAP આજે જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો ‘કેજરીવાલનું ગેરંટી કાર્ડ’
abpasmita.in | 19 Jan 2020 10:56 AM (IST)
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીમાંથી અને ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા પ્રતાપગંજથી ચૂંટણી લડશે.
નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી આજે ચૂંટણી ઢંઢેરો જાહેર છે. આ મેનિફેસ્ટોનું નામ ‘કેજરીવાલનું ગેરંટી કાર્ડ’ આપવામાં આવ્યું છે. પાર્ટીના સૂત્રો અનુસાર, આ ગેરંટી કાર્ડમાં 10 થી 15 એવી સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવશે જે સુવિધા આપવા માટે સરકાર પ્રજાને ગેરંટી આપશે. કેજરીવાલ સરકારના આ ગેરંટી કાર્ડમાં દિલ્હીને મોર્ડન સિટી બનાવવાની વાત પણ કરવામાં આવી શકે છે. સૂત્રોએ દાવો કર્યો છે કે દિલ્હીમાં ફરી કેજરીવાલ સરકાર બનશે તો ગેરંટી કાર્ડ પર આપેલી તમામ સુવિધાઓ જનતા મળશે,જેની ગેરંટી સરકાર લેશે. કેજરીવાલ જનતાને આપેલા વચનો નિભાવશે. આ ચૂંટણી ઢંઢેરામાં મફત વીજળી, પાણી અને વાઈ-ફાઈની સાથે બુનિયાદી અને મૂળભૂત સુવિધાઓની યાદી હશે અને આમ આદમી પાર્ટી તેને લોકો સુધી પહોંચાડવાની ગેરંટી લેશે. ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 67 સીટો જીતી હતી, જ્યારે ભાજપ માત્ર ત્રણ સીટ જ જીતી શક્યું હતું. 15 વર્ષ સુધી દિલ્હીમાં સત્તામાં રહેલી કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી નહોતી. 2015 વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 54 ટકા, બીજેપીને 32 ટકા અને કોંગ્રેસને 10 ટકા વોટ મળ્યા હતા.