નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં પોતાના ભાષણ દરમિયાન કૉંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે કૉંગ્રેસને ઈમરજન્સી દરમિયાન કેમ બંધારણની યાદ નથી આવી. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે તે લોકોએ સંવિધાન બચાવો મંત્રને વારંવાર યાદ કરવું જોઈએ જેમણે અનેક રાજ્ય સરકારોને બરખાસ્ત કરી. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી પર પલટવાર કરતા કહ્યું કે, તેઓ મહત્વના મુદ્દોઓ પર ક્યારેય વાત નથી કરતા.


રાહુલ ગાંધીએ કહ્યું કે, પીએમ મોદીની શૈલી દેશના મૂળ મુદ્દાઓને ભટકાવનારી છે. તેઓ કૉંગ્રેસ- જવાહરલાલ નેહરુની વાતો કરશે, પાકિસ્તાની વાત કરશે પરંતુ મૂળ મુદ્દાની વાત નથી કરતા. તેમણે કહ્યું, હાલમાં દેશમાં સૌથી મોટો મુદ્દો રોજગારનો છે. દેશના દરેક યુવાનો ઈચ્છે છે કે શિક્ષણ બાદ તેમન રોજગાર મળે. અમે પીએમ મોદીને ઘણીવાર પૂછ્યું પરંતુ તેઓએ આ મુદ્દા પર એક પણ શબ્દ બોલ્યા નથી. આપ દેશના યુવાનોને જણાવો કે તમે તેમના માટે શું કરી રહ્યાં છો.

પીએમ નરેન્દ્ર મોદી લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ આપી રહ્યાં હતા, તે દરમિયાન પોતાના અલગ અંદાજમાં ભાષણ આપતા કહ્યું કે દેશ બદલાયો છે. અમે જુની પદ્ધતિથી કામ નથી કરતાં. પીએમ મોદીએ કહ્યું કે, જો અમે કોંગ્રેસના રસ્તા પર ચાલતા તો 50 વર્ષ બાદ પણ દેશ ના બદલાતો, વર્ષો બાદ પણ નેક્સ્ટ જનરેશન લડાકૂ વિમાનથી દેશ વંચિત રહેતો. 28 વર્ષ બાદ પણ બેનામી સંપતિ કાયદો લાગુ ન પડતો.

અમારી સરકાર આવવાથી દેશ બદલાયો છે, અમારી સરકાર જુની પદ્ધતિથી નથી ચાલતી. અમે કેટલાય નવા બદલાવો કર્યા છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, જ્યારે વિપક્ષ મને પૂછે છે કામ કેમ નથી થયું તો હું તેને આલોચના સમજતો નથી. હું તેને માર્ગદર્શક માનું છું. કારણકે તમે વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તમને લાગ્યું છે કે આ કામ તો કરશે જ. હું બધુ જ કરીશ પરંતુ એક કામ નહીં કરું. આ કામ છે તમારી બેકારી ક્યારેય દૂર નહીં કરું.