નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસના સીનિયર નેતા જનાર્દન દ્વિવેદીના પુત્ર સમીર દ્વિવેદી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. ભાજપમાં સામેલ થયા બાદ સમીર દ્વિવેદીએ કહ્યું તેઓ પ્રથમ વખત કોઈ રાજકીય પાર્ટીમાં સામેલ થયા છે. સમીરે કહ્યું તેમણે ભારતીય જનતા પાર્ટીની પસંદગી એટલે કરી કારણ કે તે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોથી ખૂબ જ પ્રભાવિત હતા.


જ્યારે આના પર જનાર્દન દ્વિવેદીએ કહ્યું તેમનો પુત્ર ક્યારેય રાજકારણમાં નથી રહ્યો. તેને આના વિશે જાણકારી નથી. જો તે ભાજપમાં સામેલ થયો છે તો તે તેનો પોતાનો નિર્ણય છે. દિલ્હીમાં 8 ફેબ્રુઆરીના વિધાનસભા ચૂંટણી છે, જ્યારે પરિણામ 11 ફેબ્રુઆરીના આવશે.


કહેવામાં આવી રહ્યું છે કે જનાર્દન દ્વિવેદી અને કૉંગ્રેસ વચ્ચે બધુ ઠીક નથી. જ્યારે લોકસભા ચૂંટણીના પરિણામ બાદ રાહુલ ગાંધીએ કૉંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે જનાર્દન દ્વિવેદીએ સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીએ પદ છોડતા પહેલા નવા અધ્યક્ષની પસંદગીની કોઈ વ્યવસ્થા કરવી જોઈતી હતી.

ગત વર્ષે સવર્ણોને અનામત આપવાને લઈને જનાર્દન દ્વિવેદીએ કહ્યું હતું કે તેમણે આર્થિક આધાર પર અનામતની માંગ કરી. ત્યારે કૉંગ્રેસે આ વાતને ગંભીરતાથી નહોંતી લીધી. જ્યારે મોદી સરકારે 10 ટકા અનામત લઈને આવી તો તમામ પાર્ટીઓ મૌન થઈ ગઈ. ગત વર્ષે ડિસેમ્બરમાં જનાર્દન દ્વિવેદી આરએસએસ પ્રમુખ મોહન ભાગવાત સાથે એક મંચ પર જોવા મળ્યા હતા.