નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પ્રચંડ જીત મેળવી છે. સતત ત્રીજી વખત છે જ્યારે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદ સંભાળશે. તેમની આ જીત પર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ટ્વિટ કરી શુભેચ્છાઓ આપી છે. પીએમ મોદીએ કહ્યું, 'દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે AAP અને શ્રી અરવિંદ કેજરીવાલ જીને શુભેચ્છાઓ. દિલ્હીના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવા માટે તેમને ખૂબ શુભકામનાઓ.'


સાંજના 6 વાગ્યાને 30 મિનિટ સુધીમાં દિલ્હી વિધાનસભામાં તમામ 70 બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 43 બેઠકો પર જીત મેળવી ચૂકી છે અને 19 બેઠકો પર આગળ ચાલી રહી છે. ભાજપ તમામ કોશિશ બાદ પણ બે આંકડાના ફિગર સુધી ન પહોંચી શકી. પાર્ટીએ પાંચ બેઠકો પર જીત મેળવી છે જ્યારે 3 બેઠકો પર આગળ છે. કૉંગ્રેસ સતત બીજી વખત ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહી છે.

આ ચૂંટણી ભાજપ માટે નાકની લડાઈ બની હતી. આ જ કારણે પાર્ટીએ તમામ તાકાત લગાવી હતી. પ્રધાનમંત્રી, કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત તમામ કેંદ્રીય મંત્રીઓ, ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ આશરે બે સપ્તાહ સુધી ચૂંટણીમાં પ્રચાર કર્યો હતો. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ ચૂંટણી પ્રચારના અંતિમ દિવસોમાં સતત બે રેલીઓ કરી હતી.

ભાજપનું જોર રાષ્ટ્રીય મુદ્દાઓ પર રહ્યું પરંતુ આમ આદમી પાર્ટી રાજ્યના મુદ્દાઓ પર કેંદ્રીત રહી. જેનો સીધો ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો અને સતત ત્રીજી વખત પાર્ટી સરકાર બનાવવામાં સફળ રહી છે.