નવી દિલ્હીઃ દેશ હાલ કોરોના સામે લડી રહ્યો છે. એકબાજુ કોરોના વાયરસના કારણે હાહાકાર મચ્યો છે ત્યારે તીડના હુમલાને લઈ સરકાર સતર્ક થઈ ગઈ છે. ગુજરાત સહિત ઘણા રાજ્યમાં તીડના ઝૂંડ ઉતરી આવતાં ધરતીપુત્રોની ચિંતા વધી ગઈ છે. આ દરમિયાન દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે તીડના હુમલા મુદ્દે બેઠક બોલાવી હતી.


દિલ્હી સરકારના લેબર મિનિસ્ટર ગોપાલ રાયે કહ્યું, ખેડૂતોને જાગૃત કરવા માટે કાર્યક્રમ ચલાવવામાં આવશે. આ અંગે તેમણે ટ્વિટ કરીન લખ્યું, ઉત્તર ભારતમાં તીડના વધતા ખતરાને જોતાં દિલ્હી સરકારના કૃષિ વિભાગ દ્વારા દિલ્હીના લોકો અને ખેડૂતોને જાગૃત કરવા કાર્યક્રમ ચલાવશે. ઉપરાંત દિલ્હી સરકારે જંતુનાશક દવાનો છંટકાવ અને તેની માત્રાને લઈ એડવાઇઝરી જાહેર કરી છે.



પાકિસ્તાન તરફથી ભારતમાં દાખલ થયેલા તીડના પ્રકોપ લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. કૃષિ સાથે સંકળાયેલા જાણકારોના કહેવા મુજબ, જો આ સમસ્યા પર તાત્કાલિક કાબૂ નહીં મેળવવામાં આવે તો આગામી સમયમાં મોટી સમસ્યા ઉભી થઈ શકે છે. તીડના ઝૂંડ પાક, શાકભાજીને મોટા પાયે નુકસાન પહોંચાડી રહ્યા છે અને તેનાથી ખાદ્યાન ચેન પ્રભાવિત થઈ શકે છે.