નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસ મહામારીની સ્થિતિની ગંભીરતાને જોતા દિલ્હી હાઇકોર્ટે આપ સરકાર અને કેન્દ્ર સરકારને કોરોના વાયરસના દર્દીઓ માટે બેડ અને વેન્ટિલેટરની સંખ્યા વધારવાના નિર્દેશ આપ્યા છે. મુખ્ય ન્યાયાધીશ ડી એન પટેલ અને જસ્ટિસ પ્રતીક જલાનએ આ નિર્દેશ આપ્યા હતા.


વાસ્તવમાં આ અગાઉ દિલ્હી સરકારે કોર્ટમાં કહ્યું હતું કે, 9 જૂન સુધી શહેરમાં કોરોનાના દર્દીઓ માટે 9179 બેડ હતા અને તેમાંથી 4914 બેડ ભરાયેલા છે જ્યારે બાકીના બેડ ખાલી છે. દિલ્હી સરકારે ખંડપીઠને કહ્યું કે કુલ 569 વેન્ટિલેટર છે જેમાંથી 315નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જ્યારે બાકીના ઉપલબ્ધ છે.

કોર્ટે કહ્યું કે, સ્થિતિની ગંભીરતાનો વિચાર કરતા અમે કેન્દ્ર અને દિલ્હી સરકારને કોરોનાના દર્દીઓ માટે બેડની સંખ્યા વધારવા અને વેન્ટિલેટરની સંખ્યામાં વધારો કરવાના નિર્દેશ આપ્યા છે. જેથી તમામ જરૂરિયાતમંદ દર્દીઓને આ સુવિધાઓ મળી શકે. અમે આશા રાખીએ છીએ કે દિલ્હીમાં તમામ હોસ્પિટલના બેડની ઉપલબ્ધતા અંગે રિયલ ટાઇમ ડેટા જાહેર કરવામાં આવશે. જેથી લોકો જાણી શકે કે કોરોનાનો ચેપ લાગતા તેમને ક્યાં જવાનું છે.