Delhi Liquor Policy Case: આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સામે દારૂ કૌભાંડ મામલે શરુ થયેલી તપાસ શાંત થવાનું નામ નથી લઈ રહી. શનિવારે, ન્યાયિક કસ્ટડી સમાપ્ત થયા પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેની કસ્ટડી 8 મે સુધી લંબાવી છે. મનીષ સિસોદિયાની 9 માર્ચે ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 10 માર્ચે રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા.


 






ગઈ કાલે જામીન અરજી ફગાવવામાં આવી હતી


દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને એક્સાઈઝ પોલિસીના મામલે મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે (28 એપ્રિલ) તેને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. રાઉઝ એવન્યુ કોર્ટના સ્પેશિયલ જજ એમકે નાગપાલે મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી છે.


હવે નીચલી કોર્ટના આ નિર્ણય સામે સિસોદિયા હવે દિલ્હી હાઈકોર્ટમાં જશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. EDએ કહ્યું હતું કે તપાસ "નિર્ણાયક" તબક્કામાં છે અને AAPના વરિષ્ઠ નેતાએ નીતિને જાહેર મંજૂરી છે તે બતાવવા માટે ખોટા ઈમેલ બનાવ્યા હતા.


મનીષ સિસોદિયાએ શું દાવો કર્યો?


સિસોદિયાની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે તપાસ માટે હવે તેમની કસ્ટડીની જરૂર નથી. AAPના નેતાઓ સતત દાવો કરી રહ્યા છે કે આ સમગ્ર મામલો ખોટો છે અને કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે. ગુરુવારે (27 એપ્રિલ) કોર્ટે સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 12 મે સુધી લંબાવી હતી. અગાઉ, 31 માર્ચે, દિલ્હીની કોર્ટે સીબીઆઈ દ્વારા નોંધાયેલા એક્સાઇઝ પોલિસી કેસમાં સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી.


26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી


કોર્ટે કહ્યું હતું કે સિસોદિયા આ કેસમાં પ્રથમ નજરે ગુનાહિત કાવતરાના માસ્ટરમાઈન્ડ હતા અને તેમણે દિલ્હી સરકારમાં તેમના અને તેમના સહયોગીઓ માટે લગભગ 90-100 કરોડ રૂપિયાની એડવાન્સ લાંચની કથિત ચુકવણી સંબંધિત ગુનાહિત કાવતરામાં "સૌથી મહત્વપૂર્ણ અને અગ્રણી ભૂમિકા" ભજવી હતી. કોર્ટે કહ્યું હતું કે આ સમયે સિસોદિયાની મુક્તિ તપાસને અસર કરી શકે છે અને તેની પ્રગતિ "ગંભીર રીતે અવરોધિત" થઈ શકે છે. સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સિસોદિયાની ધરપકડ કરી હતી.