નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન એક્ટના વિરોધમાં દિલ્હીના શાહીન બાગમાં ચાલી રહેલા પ્રદર્શન પર હવે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મૌન તોડ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રીએ સોમવારે ટ્વિટ કર્યું હતું અને લખ્યું હતું કે શાહીન બાગ રસ્તાના કારણે લોકોને મુશ્કેલીઓ પડી રહી છે, ભાજપ ઇચ્છતી નથી કે આ રસ્તો ખુલે. દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભાજપવાળા એક કલાકમાં શાહીન બાગનો રસ્તો ખોલાવી શકે છે તેમાં મારા તરફથી લીલી ઝંડી છે.


નોંધનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપના અન્ય નેતા સતત આમ આદમી પાર્ટીને આ મામલા પર ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે કેજરીવાલે સોમવારે આ મામલે મૌન તોડ્યું હતું. શાહીન બાગ મામલા પર તેમણે કહ્યું કે, શાહીન બાગનો રસ્તો આઠ ફેબ્રુઆરી પહેલા ખુલશે નહી પરંતુ નવ તારીખે ખુલ્લી જશે. ભાજપ ઇચ્છતી નથી કે રસ્તો ખુલે. ગૃહમંત્રી અમિત શાહ, રવિશંકર પ્રસાદ અને પિયુષ ગોયલને અપીલ કરું છું કે તેઓ શાહીન બાગ જાય, ત્યાંના લોકો સાથે વાત કરે અને રસ્તો ખોલાવે. લોકોને તકલીફ થઇ રહી છે. ભાજપ દેશની સુરક્ષા પર ગંદી રાજનીતિ કરી રહી છે.