નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના પ્રાદેશિક હવામાન કેન્દ્રમાં તૈનાત એક કર્મચારીનું કોરોના વાયરસથી મોત થયું છે. મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ તરીકે કામ કરી રહેલા હવામાન વિભાગના કર્મચારીનું અવસાન સફદરગંજ હોસ્પિટલમાં 17 એપ્રિલના રોજ થયું હતું. કર્મચારીના મોતના સમાચાર બાદ હવામાન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.

પ્રાદેશિક હવામાન વિભાગ દ્વારા તમામ કર્મચારીઓને સતર્ક રહેવા જણાવાયું છે. કર્મચારીઓના સંપર્કમાં આવેલા અન્ય 10 કર્મચારીઓને ઘરે જ ક્વોરેન્ટાઈન રહેવા જણાવાયું છે. આ ઉપરાંત ઓફિસ પણ સેનેટાઈઝ કરવામાં આવી રહી છે.

દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેંદ્ર જૈનના જણાવ્યા મુજબ, રાજધાનીમાં કોરોના વાયરસના કુલ 2081 કેસ છે. જેમાંથી 431 સાજા થઈ ગયા છે અને 47 લોકોના મોત થયા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશમાં 18,601 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. જ્યારે 590 લોકોના મોત થયા છે. જોકે 3252 લોકો ઠીક થઈ ગયા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સંક્રમિતો છે, જ્યારે ગોવા કોરોના મુક્ત થઈ ગયું છે.